અફીણ!” દીવાનના ધીરા બોલ પણ કાને પડ્યા.
"ના રે, મને જ ઘોળીને પાઈ દોને ! એટલે તમારે સહુને નિકાલ થાય.”
– એમ કહેતાં દીવાન-પત્ની બીજા ઓરડામાં ગયાં ને દીવાન એની પછવાડે મનાવવા ગયા. ગજુએ દોડતા આવીને સરયુને કહી દીધું કે, “બેન, બાપુજીને બાએ લ-પાટ લગાવી દીધી...ઈ...ઈ!”
એટલું કહીને પાછો ગજુ, છાપાની ઑફિસના યુદ્ધ-ખબરપત્રીની અદાથી માતાપિતાની પછવાડે દોડી ગયો.
સરયુની સજલ મૂગી આંખો એક જ વાર નિરંજન તરફ ઊંચી થઈ. તરત જ પાછી પાંપણો ઢળી ગઈ. પાંપણોના પંખાએ બે ટીપા આંસુનાં ખંખેરી દીધાં. ગોરા ગાલ પર જરી વાર અટકી જઈને એ ટોપ જાણે કે પોતાની જન્મદાત્રી આંખોનાં ઊંડા ઊંડા જળાશયમાં પાછા ચડ જવા માગતાં હતાં.
એ ટીપાંએ નિરંજનની કરુણાનો કટોરો છલોછલ ભરી દીધો.
"મારે હવે કશું જ નથી પૂછવું.” કહીને એ ઊઠ્યો.
ડરથી સરયુએ એની સામે મીટ માંડી.
“તમે તૈયાર છો?” નિરંજને ધીરે સાદે પૂછ્યું.
સરયુએ ફક્ત શરણાગતના ભાવે ભરેલું ડોકું જ હલાવ્યું.
દીવાન ત્યાં આવ્યા એટલે નિરંજને કહી નાખ્યું: “મારે કશું જ પૂછવું નથી. હું સંતુષ્ટ છું. વહેલામાં વહેલું ઉકેલી નાખીએ.”
"જેઠ વદમાં જ.”
“તો હું એક આંટો મુંબઈ જઈ આવું.”
"કેમ?"
"ફેલોશિપ, સ્કોલરશિપ વગેરેની ભાંજગડ કરી આવું.”