પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૧૫૪

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
144
નિરંજન
 

જીવન-સંભારણું જોઈએ છે.”

"એટલે?”

“એટલે કે સર્વ પારિતોષિકો અને પહેલા નંબરની પદવી તમારા તરફની ભેટરૂપે જ મારા જીવનમાં ભલે રહે.”

“પણ તમારા પુરુષાર્થની સિદ્ધિ છે છતાં –"

“કેટલીક વાર જીવનની મીઠાશ પુરુષાર્થની સિદ્ધિઓમાંથી નથી જડતી, પણ –"

“પણ – કહો કહો, કહી નાખો.”

“પણ પૌરુષની પામરતામાંથી, નિષ્ફળતામાંથી જડે છે.”

“વળી આપણે કવિતા કરવા ક્યાં બેસીએ છીએ હવે ?”

“કવિતાને તમે ધિક્કારો છો એ હું જાણું છું. હુંય એ ધિક્કારનો પાઠ તમારી પાસેથી શીખી રહ્યો છું. છતાં નબળાઈની એકાદ પળ તો જીવનમાં માફીને લાયક સમજો.”

"ત્યારે તો મેં તમને ન ગમે તેવું કર્યું.”

"કોને ખબર છે, એ તમે કર્યું તેથી જ કદાચ હું તમારી મહાનુભાવતા પ્રત્યે લળી રહ્યો હોઈશ.”

"ઠીક છે એ તો, પણ હવે શું કરીએ ?”

“હવે તો બીજું કશું જ નહીં. તમે આપેલું સંભારણું મારા જીવનમાં અનામત રહેશે.”

“એટલે?“

"હું પણ મારા હકની કમાઈને તિલાંજલિ દઈશ !”

“તમારું કહેવું હું સમજી નથી શકતી,” સુનીલાને થયેલો આભાસ અસ્પષ્ટ હતો, “શી રીતે તિલાંજલિ દેવી છે ?”

“મારે યુનિવર્સિટીનાં ગૌરવ-દાન નથી જોઈતાં.”

“સ્કોલરશિપને છોડી દેશો ?”

“ગૌરવ છોડું છું તો સ્કોલરશિપો વળગશે શું ?”

“તમારી સાંસારિક સ્થિતિ કેમ ભૂલી જાઓ છો ?”