સર્વ જિજ્ઞાસુઓ પ્રવેશ કરશે.”
વાંચતાં તો શૂળ ભોંકાતાં હતાં તે તણખલાં બની ગયાં. ને નિરંજન એ દળદાર ગ્રંથ લઈ મુકામે ચાલ્યો. રસ્તે એની આંખો સામે એ પચીસ-પચાસ મોટા ગ્રંથો સળવળતા હતા. બધા જ આ વિષય પરના ગ્રંથો.
જુવાન જીવનની માર્મિક સમસ્યાઓને સુઝાડતું આટલું સાહિત્ય પડ્યું છે. છતાં વિદ્યાલયોમાં હજુ સો વર્ષેય 'મેઘદૂત' અને 'કાદંબરી'નો શાસનયુગ ઊતર્યો નથી.
તે જ દિવસથી એણે લપાવું-છુપાવું છોડી દીધું. સર્વ ભાળે અને સાંભળે તેમ લાલવાણી પ્રત્યેનો સ્નેહ પ્રદર્શિત કરવા માંડ્યો, ને એક શનિવારની રાત્રિએ કૉલેજની ડિબેટિંગ સોસાયટીના ઉપક્રમે એણે 'એક જીવનરહસ્ય' ઉપર પોતાનું વ્યાખ્યાન ગોઠવ્યું.
એ વ્યાખ્યાનમાં નિરંજને પોતાના લાલવાણી સાથેના સ્નેહ-સંબંધનો રજેરજ ઇતિહાસ ખુલ્લો કર્યો. એ સંબંધની સુંદર મર્યાદાઓ સચવાઈ રહ્યાની ખાતરી આપી.
પછી નિરંજને પોતાની દિગ્મૂઢ દશા, વેદના, તેમ જ ઉગારની શોધાશોધ વર્ણવી. જીભ ખોલવાનું કોઈ સ્થાન નહોતું. કોલેજના ગ્રંથાલયમાં ચોપડી નહોતી. પેલા ભયાનક ગણાતા માજી પ્રોફેસરને ઘેર મુલાકાત કર્યાની પોતે વાત કહી.
વાંચેલ ગ્રંથનું તારતમ્ય ધરી દીધું, ને પૂછ્યું: “હવે કહો ! મારા જેવા, લાલવાણીના જેવા, કેટલા કેટલા આ ઝંઝાવાતમાં ઝપટાયા હશે ?”