પૃષ્ઠ:Niranjan by Jhaverchand Meghani 2003 edition (originally published in 1936).pdf/૯૧

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મિનારા પર
81
 

એવી શંકા ઉદ્દભવી કે કદાચ મેં રાષ્ટ્રધ્વજની વિધિમાં શામિલ થવા ના કહી તેથી મને ભીરુ જાણીને તો સુનીલાને આ અણગમો નહીં ઊપજ્યો હોય! એટલે એણે સુનીલાને ગાડીમાં બેસારતેબેસારતે પૂછ્યું: "આપણને એ લોકો બીકણ માનીને તો નહીં ગયા હોય?"

"સંભવ છે." સુનીલાએ પોતાને કશી ખેવના ન હોય એવું બતાવતો એક જ ઠંડોગાર શબ્દ કહ્યો.

"તો પછી આપણે શું કરવું? રાષ્ટ્રધ્વજને બદલે સરસ્વતીદેવીનો ધ્વજ આવતી કાલે કૉલેજ પર ચડાવીએ તો ઠીક નહીં?"

"ચડાવી જુઓ."

એમ કહીને સુનીલાએ ગાડી હંકારાવી મૂકી. ઓરડીમાં પાછો આવીને નિરંજન પોતાના મનમાં સુનીલાનું સમસ્ત વર્તન યાદ કરી જઈ તેમાંથી તારતમ્ય શોધવા બેઠો. છેવટે એણે નક્કી કર્યું કે સુનીલાની દ્રષ્ટિએ પોતે ભીરુ દેખાયો છે. એ માન્યતા પોતે આવતી કાલના પ્રભાતે જ ધોઈ નાખવી જોઈએ. રાષ્ટ્રધ્વજને બદલે સરસ્વતીનો ધ્વજ લઈ જઈ પોતે જ ચડાવશે. ને એ ક્રિયાને છાજતું એક કાવ્ય કરવા પણ પોતે પરોઢિયા સુધી બત્તી બાળી – વીજળીની તેમ જ ખોપરીની.


17
મિનારા પર

ત્રીજા દિવસની પૂર્વ દિશા પર સૂર્યનું લાલ ચુંબન પડ્યું ત્યારે નિરંજન કૉલેજના દરવાજા પર આવી ઊભો.

અનંત યોજન પર ઊભેલ ઉષા યુવાનના મોં પર રંગોળી પૂરી રહી. તાજા કરેલા અંઘોળે એને નવી ઉષ્મા આપી હતી.

ત્યાં તો તરત જ એક ગોરો સાર્જન્ટ સામે ખડો થયો. એના