આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૫
મહાભિનિષ્ક્રમણ.

(દોહરો)
નાથસમીપ સૂતી હતી, મૃદુ શય્યામાં જેહ,
અર્ધ ઊઠી ત્ય્હાં રાણી એ, તળું પ્રાવરણે દેહ.

કરતલ બે ભાળે ધર્યા, ઉર ઉછળે અવિરામ,
ગરગર અશ્રુ ઢાળતી, સુન્દરી એ ગુણધામ,

સિદ્ધાર્થતણો કર પછી, ચુમ્બ્યો કંઈ ત્રણ વાર,
ત્રીજે ચુમ્બને કરુણરવ, કીધે મૃદુ ઉચ્ચાર.

( હરિગીત. )
“નાથ! જાગો ! નાથ ! જાગો !
વાણી દ્યો આશ્વાસની.”
“શું છે? પ્રાણ! શું? વ્હાલી ! શું છે? ”
પૂછતો ઉલ્લાસથી.

( ગીત.)
તદપિ રુવે અવ્યક્ત જ, કંઠે વાણી રહી કાંઈ અટકી;
ડૂમો હ્રદય ભરાયો–અંતે રાણી વદી સુદીન બની.

(દ્રુતવિલમ્બિત.)
“સૂતી હું નાથ ! સુખે મૃદુ નીંદરે;
શિશુ વહું ઉદરે તુજ તે સ્ફુરે;