આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ત્યારે ભગવાન કહે છે નારદને, પુત્ર વિના કેમ રહેવાશેજી;
ત્યારે નારદ કહે છે પ્રશ્નમાં, આવશે એવું કહેવાશેજી ૧૮

પછી આસન વાળી દીધી તાળી, નાક ઝાલ્યું મનજી;
વેઢા ગણીને નારદ કહે છે, સાંભળો જુગજીવનજી ૧૯

તમારા પુત્રનું એક નારીએ, કર્યુ છે હરણજી:
ત્યારે હરિ કહે દ્વારિકામાં આવે, તે તો પામે મરણજી ૨૦

નારદ કહે છે તમે સુણો શામળા, સંભળાવું એક વાતજી;
મારી એવી પ્રતિજ્ઞા છે, જૂઠું ન બોલું જાતજી ૨૧.

શોણિતપુર એક નગ્ર છે, બાણાસુરનું રાજજી;
પ્રસંગે હું ત્યાં ગયો 'તો, મારે કોઇ એક કાજજી. ૨૨.

રાજા બાણની પુત્રી ઓખા, તેને હવું સ્વપ્નજી;
અનિરૂદ્ધ સેજે વરી ગયો, તેનું વિહ્વળ થયું છે મનજી. ૨૩.

ચિત્રલેખા ચંચળ નારી, વિધાત્રીનો અવતારજી;
તે આવી દ્વારકામાં પછી મન કર્યો વિચારજી. ૨૪

કઠણ કામ કરવું છે મારે, નહિ એકલાનું કામજી;
મારું તેણે ધ્યાન ધરિયું, હું આવ્યો તેણે ઠામજી ૨૫

મેં તો તામસી વિધ્યા ભણાવી, તે ઊંઘ્યું બધું ગામજી;
અનિરૂદ્ધને લઈ તે ગઈ ને, ઓખાનું થયું કામજી ૨૬.

કોઇ પેરે તે લઈ જાયે, એમ બોલ્યા શ્રી જુગા:જીવનજી,
ચક્ર મારું ઊઘે નહિ ને, છેદી નાંખે શીષજી. ૨૭.

ચક્રનો વાંક નથી ને એ, નિસરીયું'તું ફરવાજી;
અમ સરખા સાધુ મળ્યા તેણે, બેસાડ્યું વાતો કરવાજી. ૨૮

ભગવાન કહે છે શાબાશ નારદિયા, એવા તારા કામજી;
માથા ઉપર ઊભા રહીને, ભલું મરાવ્યું ધામજી ૨૯.

નારદ કહે છે કૃષ્ણને, મેં નથી કર્યો અન્યાયજી;
જોયા પછી તમે જાણજો, ઘણી ફૂટડી છે કન્યાયજી ૩૦.

ભલી રે કન્યા ભલી રે વહુ, તમે ભલો કર્યો વિચારજી;
હવડાં મારા પુત્રના ત્યાં, શા છે સમાચારજી ૩૧.

મહારાજ જણે ભોગવી છે, બાણાસુરની બાળ જી,
દસલાખ દૈત્યોનો એકી વારે, પુત્રે આણ્યો કાળજી ૩૨.

શિવનો વર સાચો કરીને, ગયો અસુરને હાથજી;
હમણાં તમારા પુત્રની, ઘણી દુ:ખની છે વાતજી ૩૩.

ઊંધે મસ્તક બાંધીઓ, તળે લગાડી અગનજી;
લીલા વાંસનો માર પડે છે, ભાગ્ય હશે તો જીવશે તનજી. ૩૪

વાત સાંભળી વધામણીની, વગડાવ્યાં નિશાનજી;
શામળા તત્પર થાઓ હવે, જીતવો છે બાણજી. ૩૫

તે માટે તમને કહું, વિઠ્ઠલજી વહેલા ધાઓજી;
જો પુત્રનો ખપ કરો તો, શોણિતપુરમાં જાઓજી ૩૬.


કડવું ૬૯મું
શ્રીકૃષ્ણ અનિરુદ્ધની સહાયે શોણિતપુર જાય છે
રાગ :સારંગ

કમળા તો કલ્પાંત કરે છે, હૈડે તે ઊઠી જવાળા જો;
મારો કુંવર કારાગ્રહમાં બાંધીઓ રે, મારાને પાઘડી બાંધતાં ન આવડે રે;
મારો અનિરુધ્ધ નાનેરું બાળ જો. મારો કુંવર૦ ટેક. ૧.

રૂક્ષ્મણીએ કૃષ્ણ તેડાવિયા રે, તમો સાંભળો દીનાનાથ જો;
મારો બાળક અસુર ઘેર બાંધિયો રે, તે તો કહી નારદજીએ વાત જો. મારો૦ ૨.

અનિરૂદ્ધ બોલી નથી જાણ તો રે, તે તો શું જાણે જુધ્ધ કેરી વાત જો;
હિંડતાં ચાલતાં અખડાઇ પડે રે, અનિરુધ્ધ નાનેરું બાળ જો. મારો૦ ૩.

મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે, નથી સહ્યો અધ્યારુનો માર જો;
પ્રભુએ અમને પુરુષ ન સરજાવ્યા રે, તો સૌ પહેલાં વઢવા જાત જો. મારો૦ ૪.

ત્યારે શ્રીકૃષ્ણે ગરુડ તેડાવિયો રે, તે તો આવિઓ તત્કાળ જો;
ભગવાન કહે છે ગરુડને રે, તમો કેટલો સહેશો ભાર જો. મારો૦ ૫.

તમો છપ્પન કોટી જાદવ જેટલા રે, તે તો સરવે થાઓ અસવાર જો;
તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે, મારા અંગતણા રખવાળ જો. મારો૦ ૬.

મુજ ઉપર ચડે બધી દ્વારિકા રે, તોયે મુજને ન આવે આંચ જો;
છયાશી જોજન મારી પંખના રે, ત્રણ જોજનની મારી ચાંચ જો, મારો૦ ૭.


ઓખાહરણ- ૩૫