તાવ કહે એકવાર સાંભળે, તે વરસમાં ન જાવું;
બે વાર સાંભળે તેને, દીઠેથી નાસી જાઉં. (૩૬)
ત્રણવાર જે સાંભળે, તમારું જે જ્ઞાન;
તેને જન્મારે નવ પીડું, તમે સાંભળો ભગવાન. (૩૭)
ઓખાહરણ જે સાંભળે, તેનું ન લઈએ નામ;
કોલ દઈને સંચર્યો, ગયો કૈલાસ ધામ. (૩૮)
શુકદેવ કહે પરીક્ષિતને, તમે સાંભળો કહું રાય;
વળતી ભાથા ભીડીઆ, કૈલાસ કેરે રાય. (૩૯)
શસ્ત્ર એવાં કહાડીઆં, તેનો કોઈ ન પામે પાર;
ઇશને જગદીશ વઢતાં, કોઈ ન પામે હાર. (૪૦)
વજ્રાસ્ત્ર ત્યાં મેલિયું, પોતે શ્રી ત્રિપુરાર;
ત્યારે મોહાસ્ત્ર મેલિયું, સામા રહી દેવ મુરાર. (૪૧)
નાગાસ્ત્ર ત્યાં મેલિયું, સામા રહી ઉમિયાઇશ;
ગરુડાશસ્ત્ર ત્યાં મેલિયું, પોતે શ્રી જગદીશ. (૪૨)
પર્વતાસ્ત્ર ત્યાં મેલિયું, સામા રહી શિવરાય;
ત્યારે વાવાસ્ત્ર ત્યાં મેલિયું, તેનું જોર કહ્યું નવ જાય. (૪૩)
સુદર્શન ત્યાં કહાડિયું, ક્રોધ કરી જગદીશ;
ત્યારે ત્રિશુલને લઈ, રહ્યા પોતે ઉમિયાઇશ. (૪૪)
એકે લીધો પોઠિયો ને, એકે લીધો ગરુડ;
ત્રિશુળને સુદર્શન વળગ્યાં, તે આવ્યાં કડાઝુડ. (૪૫)
તેમાંથી અગ્નિ વરસે, તે બ્રહ્માંડ પ્રલય થાય,
શેષનાગ સળકવા લાગ્યા, ભાર ન ખમે ધરાય. (૪૬)
બ્રહ્માણી કહે છે બ્રહ્માજીને, તમે સાંભળો મારા નાથ,
શિવ ને શામિળિયો વઢે, નારદે કીધો ઉત્પાત. (૪૭)
રાડ જઈને ચૂકવો, તેમાંથી થાય કલ્યાણ;
હંસે ચઢીને બ્રહ્માજી આવ્યા, વિચારીને જ્ઞાન. (૪૮)
કડવું ૭૯મું
બ્રહ્માએ કરાવેલ શ્રીકૃષ્ણ-શિવનું સમાધાન
રાગ : ધનાશ્રી
આ બેમાં કોને નિદુ તે, સાંભળો શિવ રણછોડજી;
વિરોધને વેગળો મૂકીને, પૂરો ભગતના કોડજી. (૧)
શંકર કહે છે કૃષ્ણને, તમે ક્યારે આવ્યા ભગવાનજી;
હરિહર બે કોટે વળગ્યા, દીધું ઝાઝું માનજી. (૨)
શિવે કૃષ્ણને તાળી મારી, બોલ્યાનો વિવેકજી;
વઢનારા કોઈ હશે પણ, આપણ એકના એકજી. (૩)
કૃષ્ણે ચક્રને પાછું લીધું, શિવે લીધું ત્રિશુળજી;
બ્રહ્માએ આવી સમાધાન કીધું, થયું પૃથ્વીમાં શુભજી. (૪)
શિવે લઈને પાસે તેડ્યો, શોણિતપુરનો નાથજી;
અલ્યા તુજને ભુજ આપ્યા, માટે વઢવા આવ્યો મુજ સાથજી. (૫)
વળી હોંશ હોય તો યુદ્ધ કરો, શામળિયાની સાથજી;
મદમત્સર અહંકારથી તેં, ખોયા હજાર હાથજી. (૬)
બાણાસુર કહે હવે હું વઢું તો, છેદે મારું શીશજી;
બાણાસુર ચરણે લાગ્યો, સાંભળો ઉમીયાઇશજી. (૭)
(વલણ)
મેં ખોયા હાથ હજાર ને, હવે શિર છેદાવું રે;
જેમ તેમ કરીને જાન તેડાવો, પછી કન્યા પરણાવું રે. (૮)
કડવું ૮૦મું
દ્વારિકાથી શ્રી કૃષ્ણના પરિવારને શોણિતપુર તેડાવ્યો
રાગ : સોહિણી
હરિ હર બ્રહ્મા ત્રણે મળ્યા, દુઃખ ભાગીઆ રે;
ત્યારે દાનવનું શું જોર, મળ્યા મન માનીઆ રે. (૧)
હર બ્રહ્મા વિષ્ણુ ત્રણ એક રે, દુઃખ ભાગીઆ રે;
તેમાં શી વઢવાઢ, મળ્યા૦ (૨)
શિવે બાણ કૃષ્ણને નમાવીઓ, દુઃખ૦
શરીરે કૃષ્ણે ફેરવ્યો હાથ, મળ્યા૦ (૩)
કાપ્યા હાથની પીડા મટી, દુઃખ૦
જ્યારે પ્રસન્ન થયા જદુનાથ, મળ્યા૦ (૪)
હવે ગરુડને દ્વારિકા મોકલો. દુઃખ૦
તેડાવો સઘળો પરિવાર, મળ્યા૦ (૫)
સોળ સહસ્ત્ર એકસો આઠ પટરાણીઓ, દુઃખ૦
તેડવા જાદવની નાર, મળ્યા૦ (૬)
તેડો છપ્પન કોટિને, દુઃખ૦
તમે તેડો સહુ પરિવાર, મળ્યા૦ (૭)
તે ગરુડ ઉપર સહુએ ચઢીઆ, દુઃખ૦
ત્યારે ગરુડની પાંખ ભરાય, મળ્યા૦ (૮)
તેડી શોણિતપુરમાં આવીઆ, દુઃખ૦
આવી જાદવની સર્વે નાર, મળ્યા૦ (૯)
જાનીવાસ આપ્યા મન માનતા. દુઃખ૦
તેમાં ઉતર્યા છપ્પન કરોડ, મળ્યા મન માનીઆ રે. (૧૦)