આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કડવું ૧૩મું
દસ પ્રકારના ચાંડાલ
રાગ : આશાવરી

ચંડાળ તો કોઇ એક નથી રાય ! દશ વિધના કહેવાય;
પહેલો ચંડાળ તેને કહીએ, નદી ઊતરી નવ નહાય. (૧)

બીજો ચંડાળ તેને કહીએ, પુત્રીનું ધન ખાય;
ત્રીજો ચંડાળ જેને કહીએ, દૂભે માતા પિતાય. (૨)

ચોથો ચંડાળ તેને કહીએ, હરે પારકી નાર;
પાંચમો ચંડાળ તેને કહીએ, પરદારા શું ખાય. (૩)

છઠ્ઠો ચંડાળ તેને કહીએ, હરે પારકું ધન;
સાતમો ચંડાળ તેને કહીએ, જેનું મેલું મન. (૪)

આઠમો ચંડાળ તેને કહીએ, કરમાયું વદન;
નવમો ચંડાળ તેને કહીએ, નહિ તનયા કે તન. (૫)


કડવું ૧૪મું
શિવજી બાણાસુરને તેનો ભૂતકાળ જણાવે છે
રાગ : આશાવરી

બળીઓ બાણાસુર રાય, પુત્રમાગવાને જાય;
મહાદેવજીની પાસે આવી, બેઠો તપ કરવાય. (૧)

એક હજાર હાથે તાળી પાડી, તવ રીઝ્યા શ્રી મહાદેવ;
આપો ને આપો શિવજી, પુત્ર એક તતખેવ. (૨)

ચિત્રકોપ લહિયાને તેડ્યા, કર્મ તણા જોનાર;
પૂર્વે રાજા તું તો કહાવે, વૈશ્ય તણો અવતાર. (૩)

તારા પેટે એક જ હતો, લાડકવાયો બાળ;
ભોજન કરવા તું તો બેઠો, તે સાંભળને ભુપાળ. (૪)

તુજ ભાણામાં જમવા આવ્યો, વેગે તારો બાળ;
માટી વાળા હાથ હતા, બાળકના તે વાર. (૫)

ત્યારે તુજને સંખ્યા આવી, હાંકી કાઢ્યો બાળ;
બાળક ત્યારે થરથર ધ્રુજ્યો. સાંભળને ભુપાળ. (૬)

બાળકને તો રીસ ચઢીને, નવ ગણ્યો કાંઇ તાત રે;
તુજને પુત્ર વહાલો નથી, વાંઝિયો રહેજે જન્મ સાત રે. (૭)

કડવું ૧૫મું
ઉમિયાજીએ પુત્રી આપી - આકાશવાણી થઈ
રાગ : ઢાળ

ઉમિયા વાણી બોલિયાં, તું સુણ બાણાસુર રાય;
તારા મનમાં જો ગમે તને, આપું એક કન્યાય. (૧)

ત્યારે બાણાસુર કહે, પુત્રી મારે કોટીક પુત્ર સમાન;
મુજને ટાળે વાંઝિયો, આપો એ વરદાન. (૨)

કોઇક દેશનો રાજા જોઇશ, રાખશે મારું નામ;
પોષ માસથી પૂરણ માસે, પુરણ થશે કામ. (૩)

વર પામી બળીઓ બાણાસુર, શોણિતપુરમાં જાય;
બાણામતીને ગર્ભ રહ્યો છે, તેનો કહું મહિમાય. (૪)

પોષ માસથી પુરણ માસે, પ્રગટ થઈ કન્યાય;
વધામણિયા પરવરિયા, રાજસભામાં જાય. (૫)

શાણા જોશી તેડિયા, તેની જન્મપત્રિકા થાય;
વિદ્યાબળે કરી ગુરુજી બોલ્યા, પોતે તેણીવાર. (૬)

પહેલી ઉમિયાજીના અંગથી, પ્રગટી છે કન્યાય;
તેને નામે રાશી જોઇને, નામ ધરો ઓખાય. (૭)

ગ્રહ વેળા શુભ લગ્નમાં, સંતાન પ્રગટી સાર;
એથી તારા હાથનો, વેગે ઉતરશે ભાર. (૮)

ત્યારે આકાશવાણી એવી થઈ, તું સાંભળને ભુપ નિરધાર;
એ પુત્રી ઇચ્છાવર વરશે, કો કારણ રૂપકુમાર. (૯)

જ્યારે પુત્રી પરણશે, વરતશે હાહાકાર;
ભાર ઉતારશે તુજ હાથનો, તુજ જામાત્ર તે વાર. (૧૦)

તે માટે તેડી પ્રધાન, એણીપેર પુછે છે રાજન;
દેવ વચન મિથ્યા નવ થાય, તે માટે કરવો શો ઉપાય ? (૧૧)

રચો માળિયા સુંદર સાર, તે માટે કરો ઉપાય;
ઓખા અને ચિત્રલેખાને, મેલો મંદિર માળિયા માંય રે. (૧૨)


ઓખાહરણ- ૭