શેઠે ખબર આપ્યા : "પ્રોફેસર સાહેબ ! આપને મળવા માટે આપણી સરકાર તરફથી એક પ્રતિનિધિમંડળ આવેલું છે.”
“મને મળવા ? શા માટે ?
“માનપત્ર અર્પણ કરવા.”
"મને ! મને માનપત્ર ?" જાણે કે પોલીસ જ પકડવા આવી હતી અને પોતાની છેલ્લી મશ્કરી થઈ રહી હતી. “
"જી હા, આપની નવી રસાયન-શોધોની કદર સારુ. પ્રજાને આપે ઉત્તમ ઔષધિઓ તથા પીણાં પૂરાં પાડ્યાં છે તે સારું.”
"મેં ?”
“જી હા, આપે.”
એટલામાં તો દેશના સર્વશ્રેષ્ઠ સરકારી અધિકારીઓનું તેમ જ વિજ્ઞાનવેત્તાઓનું મંડળ આવીને હાજર થયું. તેઓએ એક માનપત્ર વાંચ્યું. માનપત્રનો કાગળ મોતીજડિત દાબડામાં મૂકીને અર્પણ કર્યો.
દિગ્મૂઢ જેવા બનેલા માસ્તર સાહેબે એ દાબડો હાથમાં લીધો. એણે આ વિશ્વનું સાચું વિરાટ સ્વરૂપ દીઠું, એની આકુલ વ્યાકુલ ચેષ્ટાઓથી વિસ્મય પામતા મહેમાનોને ધનપતિએ છાનો ખુલાસો કરી નાખ્યો કે પ્રોફેસર સાહેબને જરા પીવાની આદત છે ! સમજ્યા ને ?”
પ્રોફેસરે પ્રતિનિધિમંડળને મહામહેનતે પ્રશ્ન કર્યો :
“આપ સહુને મારા શેઠ સાહેબ.... ની જોડે શો સંબંધ છે !"
"જી, અમો એમના મિત્રો છીએ, તેમ જ ‘બિઝનેસ'માં એમના સાથીઓ છીએ.”
“એટલે કે એમના બિઝનેસમાં આપ સહુનું આર્થિક હિત છે ?
"જી હા, એવું કંઈક ખરું.” એક જણાએ હસી જવાબ દીધો.
"હવે આપ કંઈક જવાબ વાળો. કંઈક બોલો.” બીજાએ વિનતી કરી.
"હું - હું - હું ! ગૃહસ્થો ! હું – હું – હું તો – કંઈ નહિ. ખેર હું તમારો સહુનો આભાર માનું છું. તમે મને ઘણું માન આપ્યું છે.”
પ્રતિનિધિમંડળ વિસર્જન થયું, ને માસ્તર સાહેબે પેલા આગલે દિવસે