'આ લ્યો, ભણેલા તો છો જ, એટલે વાંચી જાઓ.'
સૂર્યકાન્ત અને સુલતાના ખૂનની કોશિશનો આખો કેસ રતિલાલે વાંચ્યો. ધોબીની હકીકતથી શરૂ કરી રતિલાલને આજે સવારે પોલીસ તપાસમાં બોલાવ્યા સુધીની સંપૂર્ણ હકીકત એમાં હતી. જેમ જેમ રતિલાલ વાંચતો ગયો તેમ તેમ તેના મુખ ઉપર આશ્ચર્યની છાપ વધારે અને વધારે ઘેરી બનવા લાગી. કાગળો વાંચી, સહેજ આંખ મીંચી, વિચાર કરી રતિલાલે કહ્યું :
'સાહેબ, આપે મારા માટે મેળવેલી બધી હકીકત ખરી છે. પરંતુ એક મુખ્ય હકીકત રહી ગઈ છે.'
'શી હકીકત ?'
'એ જ કે હું લેખક પણ છું.'
'એટલે ?'
'હું નવલકથાઓ પણ લખું છું.'
'તેથી શું ? તમે ખૂનની કોશિશ નહોતા કરતા એમ સાબિત થતું નથી.'
'એ કોશિશ માત્ર નવલકથામાં જ કરી છે.'
અમલદાર એકદમ ચમક્યો અને બોલ્યો :
'શું ?'
'ધોબીથી માંડી આપે એક સરખી ભૂલ કરી છે.'
'શી?'
'સૂર્યકાન્ત અને સુલતા એ મારી નવલકથાનાં પાત્રો છે.'
'એ હું ન માનું. તમારા જ મિત્રો તમને એ ખૂન ન કરવા ભલામણ કરતા હતા.'
'એ ખરું છે. મેં નવલકથામાં મારાં બંને પાત્રો–સૂર્યકાન્ત અને સુલતાને મરણ પામેલાં બતાવી તેને કરુણાન્ત બનાવી છે. મારા મિત્રોનો એમાં વાંધો હતો. સુલતાને જીવતી રાખવા તેમની ભલામણ હતી. મશ્કરીમાં તેઓ મને ખૂની કહેતા હતા.' રતિલાલે