બંગલા ખૂબ બન્યા, મહારાજ!
ને પછી બંગલાની ચાર માળની જોગીની હવેલી ચણાઇ. ઝરૂખે બેસી માળા ફેરવતા, અગાસીમાં બેસી જોગી ત્રિભુવન નિરખતા.
છેવટે જોગીની હવેલી ફરતી કોટકાંગરાની ઓનકદાર દુર્ગની દિવાલ ચણાઇ.
એમ વનમાં મહેલ મંડાયા.
ત્હોય જોગીની ખાખને સોનવેલ ચ્હડી ન હતી.
અજ્ઞાન લોકસંગ એને જોગીનાં જાદું કહેતો. સ્ત્રીઓ કહેતી કે દાભડીમાંથી દોલત કહાડે છે. બાળકો કહેતા કે સરોવરે ન્હાતાં ન્હાતાં જોગી આસ્માનને ન્હોતરે છે. અધૂરિયાં કહેતાં કે વડના થડમાંથી ભોરીંગનું ભોંયરૂં જડ્યું છે. અર્ધશ્રદ્ધાળુઓ કહેતા કે પાંદડાંનો રસ પાઇ ત્રાંબાનું સોનું કરવાનો જોગી કીમિયો જાણે છે.
જોગી કને તો હતાં જોગનાં જાદુ ને પરમારથનાં ઇલ્મ.
એ મહેલાત મંડાઇ એને જોગી જીવનનો જય ન્હોતા માનતા. એમને તો જોગનો ઝુંડો ફરકાવવો હતોઃ એમને તો કળિયુગમાં સત્યુગ સ્થાપવાના અભિલાષ હતા.
વ્હેલ્લી સ્હવારે જોગી ઉઠતા, સાત ગામની શેરીઓ જોગી ફરી આવતા, છલોછલ્લ ઝોળી ભરી લાવતા, ને સરોવરપાળે વગડામાં વટેમાર્ગુઓને જમાડતા.