લીંઆરો લાલ ગુલાલ
તેં રંગ્યો સધર સુલતાનીઆ !
(કિલોઈ નદીને કાંઠે મેં ચાર પાળિયા દીઠા. હે સધર મલેક ! તેં લીઆરા ડુંગરને રુધિરે લાલ રંગ્યો).
‘તમે ન કહ્યું હોત તો અમે રોકાત.’ એ motiff આ સોરઠી જીવનમાં ખૂબ ખેલ ભજવી ગયો છે. જે ન કરવાનું કહેવાય તે જ કરવાની હઠીલાઈ : આ દિશામાં જઈશ ના ! આ ઓરડો ઉઘાડીશ ના ! આ વાવનું પાણી પીશ ના !– ના પાડવામાં આવે તેટલા માટે એ જ કરવામાં આવે, લોકકથાઓનાં કલ્પિત વસ્તુને આગળ ધપાવવા માટે ‘મોટીફ’ની આ કરામત કિસ્મત રૂપી વાર્તાકારે જીવનમાં પણ આમ જ વાપરી છે અને કેટલીય કરુણતાઓ નિપજાવી છે.
બીજી એક બાબત, જે અગાઉ કદી કોઈની પાસેથી મળી નહોતી તે રાણા ભાઇએ કહી. કાઠિયાવાડની હાકેમી કરવા સંખ્યાબંધ ગોરા આવ્યા પણ તેમની નૈતિક ચાલચલગત વિશે ઇતિહાસ ચૂપ રહ્યો છે. માળીઆના મિંઆણા બહારવટિયા વાલા નામોરી અને મામદ જામની જે વાત રાણાભાઈએ કહી તેનું મારું ટાંચણ બોલે છે—
‘મામદ જામ ને અલાણો જામ બેઉ વિચાર કરે છે. અલાણો કહે કે તારી વહુ સાથે ફિટજરલાડ ચાલે છે. (ફિટઝિરાલ્ડ તે વખતના એજન્ટ ટુ ધી ગવર્નર હતા.) એટલે મામદ જામે જઈ પોતાની વહુને અફીણ પાયું.’
છેક ૧૯૨૬માં દૂર દૂર લાલપુર મુકામે લાધેલો આ અંશ ૧૯૩૬માં મેં આલેખેલી ‘સોરઠ તારાં વહેતાં પાણી’ની વાર્તામાં કામ કરી ગયા છે. એમાં જે બે ગોરાં પાત્રો આવે છે, તેમાંથી એકમાં મેં આ ગેરચલગત મૂકી છે.
રાણાભાઈએ રાયદે બૂચડ નામના બહારવટિયાની વાત કરી. બારાડી પ્રદેશનો આ ભયંકર ચારણ બહારવટિયો કૌટુમ્બિક વૈરના