કોઈની સવેલી ઉપાડી લાવ્યો હશે. એ મશ્કરીના ડંખથી આ નાગેશરી ગામના ઓઘડ વરુએ હરસૂર ખુમાણને માર્યો હશે.
બહારવટીઆઓ આમ આરબ જમાદારની મદદ લઇને વેર વાળવા ચડ્યા. ઝાંપોદર ગામ આવ્યું ત્યાં આડો નાત્સ્ ઓળાંડ્યો.
રાવ નામે પંજાબ તરફનો કોઈ મુસલમાન નજૂમી ( જોશ જોવા વાળો ) સાથે હતો તેણે તુરત ઘોડો થોભાવ્યો.
કહે ‘ કાં ? ’
કે ‘જે મોઢા આગળ હાલે ઈ લોહીઆળો થાશે. ’
આરબ બોલ્યા–‘ અમે ક્યાં ખીચડું ખાવા આવ્યા છીએ ? અમે મોઢા આગળ હાલીએ.’
પહેલી ઘોડી આરબે હાંકી.
ધાંતરવડી નદીને કાંઠે જ્યારે સૌ ચડ્યા ત્યારે જોગીદાસ અને ભાણ ખુમાણે નાગેશરીનો કેડો હાલતો તે પડતો મેલીને રાજુલાને માથે ઘોડી ઠરડી કરી.
આરબે પૂછ્યું ‘કાં ?’
કે ‘ રાજુલા માથે પડવું છે. ’
‘અરે ન્હોય એવી વાત.’ આરબ જમાદાર, પોતાના જ ધણી, ભાવનગર દરબારનું ગામ રાજુલા ભાંગવાની વાતથી ચોંકી ઊઠ્યા.
ત્યારે ભાણજોગીદાસે પેટમાં રાખેલી વાત પ્રકટ કરી : ‘અમે તમારી ખાતર બરદાસ્ત કરીએ છીએ તે તો રાજુલા માટે.’
આરબે કહ્યું : ‘ભાગ્યની વાત ! હવે કાંઈ સરાય નહિ.’
રાજુલે ચાગલ જમાદારનું થાણું. પણ ચાગલો બહાર નીકળી ગયો હતો.