જીવવું મીઠું લાગતું
ભેંસને પૂંછ મેલીને દોવાની સાદી બાબત પણ જે સમાજમાં સદાચારની વિઘાતક ગણાતી હતી તે સમાજની નીતિરક્ષાનો આ પ્રશ્ન લ્યો; ધણીની ગેરહાજરીમાં એનું ધણ ચોરાય તે ટાણે આશરાવાસી ચારણને મરી મટવાનું સૂઝે એ સ્વધર્મનો પ્રશ્ન નિહાળો, કોઈ પણ એક કિસ્સો ઉપાડો. એકજ મહાપ્રશ્નનાં એ પાસાં હતાં. માનવી તો તે સમયનો પણ, જીવનને મીઠું ગણતો. શોખને ખાતર એ કંઇ ઓછો જ કટકા થઈ જવા નીકળતો ! ધર્માંધતા અગર રૂઢ સામાજિક માન્યતા પર એ હારાકીરી નહોતો કરતો. પણ જીવનની મીઠપને બેસ્વાદ બનાવી મૂકે તેવું કંઈ થતું ત્યારે પછી મૃત્યુથી ચાતરીને લૂખા ફિક્કા જીવનને વળગવું એને નિરર્થક લાગતું. જીવનની પાસેથી તો એ માનવી પણ ચારે હાથે મોજ ને મીઠાશ માગતો. જિજીવિષાના એ પિયુષને ઝીલતું આ ટાંચણપોથીનું છેલ્લું પાનું, એક રાજવણ કાઠીઆણી પાસેથી મળેલા શૃંગાર-ગીતને જીર્ણાવસ્થામાં ય જાળવી બેઠું છે. એ પીરસીને બીજી ટાંચણપોથીને વિદાય દઉં છું ને એક પરકમ્મા પુરી કરું છું
પોપટડી રે’ તોરલો કંથ
કાં રે પોપટ દૂબળો?
દિ’વારે રે વનફળ વેડવાં જાય
રાતે પોપટ પાંજરે
હાથણલી રે ! તોરલો કંથ
કાં રે હાથી દુબળો
દિ’વારે રે દરબાર ઝૂલવા જાય
રાતે હાથી સાંકળે.
નાની વહુ રે ! તોરલો કંથ
કાં રે ..ભાઈ દૂબળો ?
દિ’વારે ઘોડલાં ખેલવવા જાય
રાતે રમે સોગઠે.