ચૂડ કે’ પતળેલ સજણાંની પ્રીતું ન કરિયેં
જેનો બદલેલ હોય બાપ.
લોક–પ્રેમિક પોતાના અંતર્જામીને સમજ આપે છે, મૃદુતાથી, વિવેકથી, વહાલપથી :—
૫
સાંભળ માયલા સાજણા ! કુડો ને કળજગ જાય;
એકથી લગાડીએં પ્રીતડી તો લાલચ બીજે થાય.
લાલચ બીજે જાય તે ખોટી
સાચી રીત ઘરની અસ્ત્રીથી મોટી.
વંશ વધે, વાલપ ઉપજે, ને કહ્યું પોતાનું થાય
ચુડ કે’ સાંભળ માયલા સાજણા ! કુડો ને કળજગ જાય.
પતિવ્રતની કે પત્નીવ્રતની ધાર્મિક વાતોથી નહિ, વ્યવહારુ વાતોથી ‘માયલા સજણા’ને કવિતા વફાઈ શીખવે છે ‘વંશ વધે, વાલપ ઊપજે, ને કહ્યું પોતાનું થાય.’ એવા ત્રેવડા લાભ કાજે ઘરની નાર પ્રત્યે એકનિષ્ઠા પ્રબોધાય છે. ને સૌંદર્યની મૂર્તિ આલેખાય છે—
૬
સાજણ નીકળ્યાં બજારમાં પેરી ઝાંઝરની જોડ;
ઉરે બિરાજે આભલાં, હૈયે ટંકાવેલ મોર.
હૈયે ટંકાવેલ મોર તે ઝળકું કરે,
વાલાં સાજણનાં નેણલાં ઢળકું કરે.
ગલાબનાંફુલ હોય રાતાં ચોળ
ચૂડ કે’ સાજણ નીકળ્યાં બજારમાં પેરી ઝાંઝરની જોડ.
લોકવાણીમાં આલેખાયેલ રૂપ કદી પણ static–ગતિવિહીન–દીઠું છે ? નહિ, ગતિ તો રૂપનો પ્રાણ છે. અને ‘ઉરે બિરાજે આભલાં, હૈયે ટંકાવેલ મોર’–એ દૃશ્ય તમે દીઠું છે ? કાચના ચાંદલા ભરેલું