આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨ : પત્રલાલસા
 

આવે છે !'

દીનાનાથ એક ગર્ભશ્રીમંત જમીનદાર હતા. તેમના પૂર્વજોની દાનધર્મ સંબંધમાં એટલી ખ્યાતિ હતી કે આજ આપણને એ બધું કલ્પનામય લાગે. તેઓ જાતે પણ એ જ વિચારશ્રેણીમાં ઊછર્યા હતા. પરાપૂર્વથી તેમના ઘરમાં પૂરતો વૈભવ હતો, અને વૈભવ એકલા ભોગવતા કરતાં સ્નેહસંબંધીઓની સાથે ભોગવવામાં તેની સાર્થકતા તેઓ માનતા. અત્યંત દયાળુ અને ઉદાર સ્વભાવને લીધે કુટુંબનું દરેક માણસ તેમને ચાહતું અને નિકટનાં તેમ જ દૂરનાં સગાં, સગપણ સંભારીને અથવા ખોળી કાઢીને, તેમને ઘેર ઘણું આવતાં અને રહેતાં. આ કુટુંબવત્સલ ગૃહસ્થ સર્વને આવકાર આપતા - મુખનો જ આવકાર નહિ પણ મનનો. અતિથિને યજમાનનો આભાર માનવાનો કદી પ્રસંગ મળતો જ નહિ. અતિથિએ પધારીને ઘર પાવન કર્યું એ માટે તેનો એટલો બધો ઉપકાર માનવામાં આવતો કે તે અતિથિને સર્વ તિથિઓ દીનાનાથના ઘરમાં જ ગાળવાનું મન થતું, અને ઘણા એ ઇચ્છાને પૂર્ણ કરી દીનાનાથને ઉપકૃત પણ કરતા.

દીનાનાથનું મકાન ભરચક હોવા છતાં તેમને કાંઈ સંતાન નહોતું. તેમનાં પત્ની નંદકુંવર પણ સરલ અને પવિત્ર હૃદયનાં હતાં.

કુટુંબનું દરેક માણસ તેમનું પોતાનું જ લાગતું. છોકરાં પણ ખાવાનું માગવા અથવા ટંટો પતાવવા તેમની પાસે જ જતાં. આખો દિવસ તેમને નવરાશ મળતી નહિ. સવારના પાંચ વાગે ઊઠી, નાહીધોઈ, પૂજા કરી, રસોઈના કામમાં તેઓ પડતાં. ઘરમાં માણસો ઘણાં હતાં, અને ફેરો ખાવાનો ડોળ પણ બધા કરતા. હું કામ કરું છું એવું દેખાડવા દરેક જણ ધાંધળ કરી મૂકતું, પરંતુ ખરું કામ તો નંદકુંવરને જ માથે આવી પડતું.

આમ ખર્ચ વધ્યે જ ગયું. દયાળુ સ્વભાવને લીધે ગુમાસ્તાઓ આવકખર્ચના હિસાબમાં પણ ગોટાળો કરવા લાગ્યા. કોઈ આ બાબતની સૂચના કરે તો તેને દીનાનાથ તરફથી એક જ જવાબ મળતો કે 'આપણો કહ્યો, માટે બધે પૈસો આપણે જ માટે વપરાય એવું કોઈ દહાડો બને ખરું? હોય, એમાં બીજાનો પણ ભાગ છે.'

પરંતુ અવ્યવસ્થિત ગૃહવ્યવહાર લાંબા વખત સુધી ચાલી શકતો નથી. જગતના કાર્યક્રમમાં અર્થશાસ્ત્રનો ઉપયોગ ન થતો હોત. તો ઉદાર પુરુષોની ઉદારતાને મર્યાદિત કરવાની જરૂર રહેત નહિ. પરંતુ આવક અને ખર્ચના બે છેડાની વચ્ચે રમત કરવાની હોવાથી ઉદાર પુરુષોને ઝટ જણાઈ આવે છે કે ઉદારતાને પણ દુનિયા મર્યાદા આપવા માગે છે.

તેમનો ખર્ચ વધવા માંડ્યો અને વર્ષ ખરાબ આવવા લાગ્યાં;