આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
શરમાળ પુરુષ

વહાલાની વાગે દૂર વાંસળી !
નાથ, આવો બોલો એક બોલ રે !
સ્નેહધામ સૂનાં સૂના રે !
નાનાલાલ

બહુ જ શરમાઈને સનાતને જણાવ્યું કે પોતે પરણેલો નહોતો. તેને સમજાયું નહિ કે પરણવાની વાત કરતાં શા માટે શરમાવું જોઈએ. કુસુમે લગ્નની વાત કરતાં શરમાઈ જતાં પુરુષો જોયા જ નહોતા. તેનો પતિ તો વધારે વાર લગ્ન કરવાથી તેમાં રહેલી મનોહર શરમ વીસરી જ ગયો હતો. એટલે સનાતનના મુખ ઉપર પ્રગટી નીકળેલો આ સુંદર શરમનો શેરડો કુસુમને ઘણો જ ગમ્યો. તેણે આગ્રહ કર્યો કે જ્યારે મુંબઈમાં કોઈ જ તેનું હોય નહિ તો સનાતને આ બંગલામાં જ રહેવું.

સનાતને કુસુમનો ઉપકાર માન્યો, પરંતુ એ બંગલામાં રહેવાની આનાકાની કરી.

'મને એકાંત બહુ પ્રિય છે. દિવસનો કેટલોક ભાગ હું મારા ખાનગી અભ્યાસમાં અને વિચારમાં ગાળું છું.'

'એવું એકાંત તમને અહીં મળી શકશે.' કુસુમે જવાબ આપ્યો.

'બંગલો ઘણો મોટો છે.'

'પરંતુ જમવું અને સૂવું મને કોઈને ત્યાં ફાવતું જ નથી. બીજે મને બહુ જ અતડું લાગે છે.' સનાતને જવાબ આપ્યો. કુસુમ પણ વિચારમાં પડી.

આગ્રહ કર્યા છતાં પોતાના બંગલામાં રહેવાની આનાકાની કરનાર આ વ્યક્તિ પ્રથમ જ તેના જોવામાં આવી. ઘણા આગ્રહ વગર જ રહેતા; કેટલાક બંગલાનો ભાગ માગી લેતા; અને આ યુવક પોતાનો આગ્રહ છતાં રહેવાની ના પાડે એ વિચિત્ર હતું. કુસુમને લાગ્યું કે પોતાનો બંગલો મોટો છે એમ અભિમાનભર્યા સૂચનથી સનાતનને કદાચ ખરાબ લાગ્યું હોય. ભણેલાઓની સ્વમાનની લાગણી તેને ગમી.

'બંગલો તમારો જ માનીને રહો. હું તમને બધી સ્વતંત્ર ગોઠવણ કરી