આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૨ : પત્રલાલસા
 

'એટલે એ જ કે મારાથી તો માફી પણ મગાય એમ નથી.'

'કારણ ?'

'કારણ એ જ કે મારું જીવન અગ્નિમાં બળી રહ્યું છે.'

'એમ ન બોલો. પ્રભુ તમને સુખ..'

'મને મોત સિવાય કોઈ જ સુખ આપી શકે એમ નથી.'

સનાતન ચમક્યો. મંજરી શાને માટે આવું દુઃખ લગાડતી હતી તેની તેને પૂરી સમજ પડી નહિ. તેના હૃદયમાં સુખનો સંચાર નહોતો એટલું તો તે જોઈ શક્યો.

‘એમ ન બોલો.' સનાતને પણ દુઃખપૂર્વક કહ્યું. મંજરી કોઈ પણ કારણે મોત પાસે સુખ માગે એ તેને ગમ્યું નહિ.

'બોલું કે ન બોલું એ સરખું જ છે. તોય તમને જોઈને આટલું બોલાઈ જાય છે.' મંજરીએ કહ્યું.

સનાતનને ભાન આવ્યું કે તે પોતે બેઠો હતો અને મંજરી ઊભી હતી. મોત પાસે સુખ માગતી મંજરીના દેહને પણ આરામ ઘટતો હતો એમ તેને લાગ્યું. તેણે ઊભા થઈ મંજરીને હીંચકો બતાવી કહ્યું :

'બહુ ઊભાં રહ્યાં. બેસો ને ?'

મંજરીએ સનાતનની સામે જોયું. મંજરીની આંખમાં સનાતને કદી ના જોયેલી સખ્તી નિહાળી. ક્ષણમાં જ એ સખ્તી ખસી ગઈ અને મંજરીના મુખ ઉપર સ્મિત ફરી વળ્યું. આવી સખ્તી અને સ્મિતની અદલાબદલી તેને ગંભીર લાગી.

‘તમારી સાથે જ હીંચકે બેસી જાઉ તો ?' મંજરી બોલી અને એમ બોલતાં બરોબર તેનું સ્મિત ઊડી ગયું. અને સહજ અટકેલાં અશ્રુ ફરી ઊભરાઈ આવ્યા. જ્યાંની ત્યાં જ તે જાજમ ઉપર બેસી ગઈ. સનાતન પણ તેની સામે જાજમ ઉપર બેઠો.

'મંજરી ! કેમ આમ કરો છો ? મારો કાંઈ દોષ થયો છે ?' સનાતને મંજરીને પૂછ્યું.

'દોષ મારા ભાગ્યનો.' રડતી મંજરીએ જવાબ આપ્યો.

'મારું ભાગ્ય પણ કેમ વિસરો છો ? ઘરમાં પગ મૂકતાં સુધી હૃદયમાં ચંદ્ર ચમકતો હતો. પછી અંધારું થઈ ગયું.' સનાતને પહેલી વાર હૃદય ખોલ્યું.

'અરેરે ! મારી જ ભૂલ થઈ.'

'કેમ ?'