આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૬ : પત્રલાલસા
 

મંજરીને ખોળતી હતી.

'બહેન ! જરા પાસે તો જાઓ ?' લક્ષ્મીએ ચાલાકીભર્યું સૂચન કર્યું.

મંજરી પલંગ ઉપર બેસી ગઈ. વ્યોમેશચંદ્રે મંજરીનો હાથ પકડી લીધો; મંજરીએ તેમાં વાંધો લીધો નહિ કે અણગમો બતાવ્યો નહિ. ઊલટું બીજે હાથે તેણે વ્યોમેશચંદ્રના કપાળ ઉપર આવી ગયેલા વાળ સહજ ઊંચા કર્યા.

વ્યોમેશચંદ્રની વિકળતા શમી ગઈ. તેમણે આંખ મીંચી. તેમના મુખ ઉપર એક પ્રકારની શાંતિ છવાઈ. મંજરીની આંખ ક્ષણ માટે સનાતનની આંખ સાથે મળી. અને મંજરીએ દ્રષ્ટિ ફેરવી લીધી.

ડૉક્ટર આવતાં વ્યોમેશચંદ્રે આંખ ઉઘાડી. મંજરી તેની પાસે જ બેઠેલી હતી. મંજરીનો હાથ વ્યોમેશચંદ્રના હાથમાં જ હતો. ડૉક્ટરની સારવાર કરતાં મંજરીનો હાથ વ્યોમેશચંદ્રને વધારે આરામ આપતો હતો.

રડતાં છોકરાં અને માણસોને વ્યોમેશચંદ્રે કહ્યું :

'ગભરાવાનું કારણ નથી.'

ડૉક્ટરે પણ તેમ જ જણાવ્યું. પરંતુ પાટા બાંધી દવા આપ્યા પછી મંજરીને એક બાજુએ બોલાવી ડૉક્ટરે ખાસ કાળજી રાખવા જણાવ્યું. જરા સરખી નિષ્કાળજી વ્યોમેશચંદ્રને ઘાતક નીવડે એવો સંભવ ડૉક્ટરે બતાવ્યો. મંજરીના પોતાના હાથ વગર પાટા છોડવા, બાંધવા કે દવા આપવાની તેમણે મના કરી.

વ્યોમેશચંદ્રના કેટલાક ખેડૂતો વર્ષોથી તેમને સાથ આપતાં નહોતા. ખેડૂતોની સ્થિતિ પરત્વે દયા ખાઈ વ્યોમેશચંદ્રે બે-ત્રણ વર્ષ ખેડૂતોને માફી આપી. પરંતુ એ માફી ખેડૂતોને હક બની ગઈ લાગી. જમીનનો ખરો માલિક ખેડૂત કે જમીનદાર એ પ્રશ્ન ધીમે ધીમે તીવ્ર સ્વરૂપ ધારણ કરતો જાય છે. સુખી જન્મના અકસ્માતે જમીનદારો જમીનની માલિકી લઈ બેસે અને તલપૂર મજૂરી વગર મજૂરોના નફામાંથી સારો લાભ મેળવે એ સામાજિક ન્યાય કે અન્યાય ગણાય એ પ્રશ્નની ચર્ચા નિરુપયોગી છે. જે તે સમય એ પ્રશ્નનું નિરાકરણ કર્યું જાય છે. તથાપિ જમીનદારો પોતાની માલિકી માનતા કે મનાવતા અટકે એ પહેલાં જમીનદારો અને ખેડૂતોના માનસમાં ભારે ક્રાન્તિ થવાની જરૂર છે. એ માનસક્રાન્તિ સ્થૂલ રૂપ ધારણ કરે છે. દીવાની ફોજદારી કરી વ્યોમેશચંદ્રે જમીન ઉપરથી કઢાવી મૂકેલા ચાર-પાંચ ઉગ્ર ખેડૂતોએ વ્યોમેશચંદ્રનું ખૂન કરવાનો નિશ્ચય કરી નાખ્યો હતો.

માનવીનું હૃદય ગુનો કરવા પ્રેરાય છે ત્યારે તેને પ્રમાણનો જરાય ખ્યાલ રહેતો નથી. સમાજની અવ્યવસ્થિત ઘટના ઘણા ઘણા ગુનાઓની