આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૮: પત્રલાલસા
 

જોવા આવતાં તેમના બધા વિચાર ઓસરી ગયા.

મંજરીને ખરેખર તાવ આવ્યો હતો.

માંદા ગુનેગારને પણ શિક્ષા થઈ શકતી નથી. માંદી મંજરીને શિક્ષા થઈ શકે ? વળી તે ખરેખર ગુનેગાર હતી ખરી? વ્યોમેશચંદ્રની ઉદારતાએ મંજરીના દોષને ગાળી નાખ્યો. મંજરીની સામે તેઓ જોઈ રહ્યા. મંજરી તેમની સામે જોઈ રહી. બંનેને લાગ્યું કે તેમની વચ્ચેનો કોઈ પડદો ઊઘડી ગયો છે. એ પડદો ઊઘડતાં સ્વભાવની વિકરાળતા વિકસવાને બદલે કોઈ અવર્ણનીય મૃદુતા ઊભરાઈ આવી. બંનેને પરસ્પર પ્રત્યે દયા ઉત્પન્ન થઈ. મંજરીની આંખ ફરી આંસુથી ઊભરાઈ. વ્યોમેશચંદ્રે સમભાવપૂર્વક કહ્યું :

'મંજરી ! તાવ આવ્યો છે ?'

'વધારે નથી.' આંખો લૂછતાં તેણે કહ્યું.

'ગભરાઈશ નહિ. હમણાં ડૉક્ટરને બોલાવું છું. આમ મટી જશે.'

'મને મારી ચિંતા નથી.'

પરંતુ ડૉક્ટરે આવી વ્યોમેશચંદ્રની ચિંતા વધારી દીધી. એકાન્તમાં બોલાવી ડૉક્ટરે વ્યોમેશચંદ્રને કહ્યું :

'મંજરીબહેનને ક્ષયની અસર છે. બહુ સંભાળવું પડશે.'

વ્યોમેશચંદ્ર ચમક્યા. માનસિક આઘાત દેહને આમ ઘસી નાખતો હશે ?

'શાથી આમ થયું હશે ?'

'અનેક કારણો હોય. મધ્ય અને ઉચ્ચ વર્ગની સ્ત્રીઓમાં આ રોગ પ્રચલિત છે. ખાસ ઇલાજોની જરૂર છે.'

'શા શા ઇલાજો લઉં ? આપ કહો તેમ કરવા તૈયાર છું.'

'ઉપચારો તો હું કરીશ, પરંતુ એમને હવાફેર કરાવો; આ જગાએથી તેમને ફેરવી નાખો.'

વ્યોમેશચંદ્ર ડૉક્ટરના ગયા પછી મંજરી પાસે આવીને બેઠાં. પરંતુ ક્ષયના નામે તેમના મુખ ઉપર ઉત્પન્ન કરેલી વિકળતા હજી શમી નહોતી.

નાનકડી વેલી એટલામાં દોડતી દોડતી આવી સૂતેલી મંજરીને બાઝી પડી.

'મંજરીબહેન ! તમે ક્યાં જતા રહેવાના છો ?'

'કંઈ જ નહિ. તને કોણે કહ્યું ?' મંજરીએ બાળકીને છાતી સરસી દબાવતાં કહ્યું.

'લક્ષ્મી કહેતી હતી.' બાળકીએ જવાબ આપ્યો. બાળકો આપણે ધારીએ તે કરતાં વધારે ચબરાક હોય છે.