આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬ : પત્રલાલસા
 


ક્ષણભર બંને શાંત રહ્યાં. વળી નંદકુંવરે કહ્યું :

'મંજરીનો એક પણ પૈસો આપણે ઘરમાં નથી લીધો એની ખાતરી રાખજો. હું શું નથી જાણતી કે તેનો પૈસો લેવો એ મહાપાપ છે ? આ તો એને ભરતગૂંથણનો શોખ છે, અને કંઈક સંજોગોમાં એ વેપારીની જાણમાં આવ્યું એટલે એ ખરીદે છે. એમાંથી તો લગભગ બારસો રૂપિયા એણે ભેગા કર્યા છે. તમને કહ્યું નથી, પણ એ જુદા જ રાખ્યા છે.'

દીનાનાથનું કાંઈક સાન્ત્વન થયું. સવાર પડવા આવ્યું હતું. મંજરીએ ઊઠી પ્રભાતિયાં ગાયાં, ચિતરંજન પણ ઊઠ્યો, અને સહુ સહુના કામમાં પરોવાઈ ગયાં. ચિતરંજન અને દીનાનાથ એકલા પડ્યા અને ગપોએ ચડ્યા. દીનાનાથની વ્યગ્રતા ચિતરંજનની જાણ બહાર નહોતી. એટલે તેણે અનેક તવંગર માણસો કેમ ગરીબ થઈ ગયા હતા તેના સ્વાનુભવનાં વર્ણનો આપી દીનાનાથને ઉત્સાહી કરવા માંડ્યો.

'દીનુ ! તું જાણે છે મેં પણ કેટલા દિવસો ભૂખમરામાં કાઢ્યા છે તે ? પૈસા સંઘરવાનું પાપ તો મેં કદી કર્યું નથી.' ચિતરંજન આગળ વધ્યો, 'અને છતાં આખી દુનિયાની મુસાફરી કરી, લોકો જોયાં, લોકોનાં જીવન જોયાં, તેમનાં સુખ પણ જોયાં અને દુઃખ પણ જોયાં. દુઃખ દેખતાં મનુષ્યો કેમ હારી બેસે છે તે મને સમજાતું નથી. કોઈને ઓટલે સૂતો હોઉં અને મને કાઢી મૂકે તો એમાં મને અપમાન લાગતું નહિ. રેલવેમાં વગર ટિકિટે મુસાફરી કરું અને હું પકડાઉં ત્યાં ઉતારી મૂકે. બહુ ભૂખ લાગી હોય તો કોઈ દુકાનદારને ત્યાં જઈને બે ચીજો ખિસ્સામાં પણ મારી લઉ. દુઃખમાં જેવી મજા આવે છે તેવી બીજા કશામાં આવતી નથી.'

દીનાનાથે હસતાં હસતાં કહ્યું : 'હજી એવો ને એવો જ રહ્યો. તારે તારી જાત સંભાળવાની. આગળ પાછળ કોઈ હોય તો દુ:ખનો સવાલ રહે ને ?'

'ત્યારે તું મને મારા દુઃખને હજી સમજી શક્યો જ નથી.' ચિતરંજને કહ્યું. 'એક વખત ઘર છોડ અને છ માસ મારી સાથે રહે એટલે દુઃખ શું તે સમજાશે.'

'મારે કાંઈ સમજવું નથી. મારે મારું દુઃખ બસ છે.' હસીને દીનાનાથે કહ્યું.

‘હા, પણ દીનુ ! મારે આજે તો જવું પડશે તે પહેલાં જે વાત કહેવા આવ્યો છું તે તને કહી લઉં, બીજું કોઈ નથી એટલે ઠીક છે.' ચિતરંજને કહ્યું.

આ બહુબોલા મિત્રને એવી એકાંતમાં શી મહત્ત્વની વાત કરવી હશે