આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વ્યવહાર :૬૯
 

તેને અદૂભૂત રસમાં નિમગ્ન કરતો, અને તેની સંગતથી સનાતને એટલું બધું નવું જાણ્યું કે તે ચિતરંજન સરખી જિંદગી ગુજારવા તત્પર થયો.

‘તારી તબિયત હવે સારી થવા માંડી છે. તારે માટે હું કોઈ સારી નોકરીની ખોળમાં જ છું.' એક દિવસ ચિતરંજને સનાતનને જણાવ્યું.

'મારે નોકરી નથી કરવી. હું તમારી સાથે જ રહીશ અને પતિતોદ્ધારમાં મારી જિંદગી ગુજારીશ.' સનાતને જવાબ આપ્યો.

'તે દિવસે તો તું કહેતો હતો કે તારે એકદમ લક્ષાધિપતિ થવું છે. મારી સાથે રહ્યે પૈસો મળે એમ નથી.' ચિતરંજને કહ્યું. 'ઉપરાંત મારા જેવી જિંદગી ગુજારવાની હું તને સલાહ પણ નહિ આપું.'

'કારણ ?'

'કારણ એટલું જ કે પ્રથમ તો પથ્થર જેવું શરીર જોઈએ. તારું શરીર મારી જિંદગીની વ્યથા સહન કરી શકે એવું નથી. વજ્ર જેવું મન જોઈએ એ બીજી વાત. તારું મન તેવું નથી. તું ધારે તોપણ તારાથી લોહીવાળા હાથ નહિ થાય. કટાર ભોંકાશે નહિ ને તલવાર ઊપડશે નહિ. ફક્ત એક ગુણ છે: તું રડી શકે છે. પણ એટલું બસ નથી. હજી જગતનો અનુભવ મેળવ અને પછી જો મારા જીવનમાં રસ હોય તો આવજે.' ચિતરંજને જણાવ્યું. 'આશા રહિત જીવન થાય ત્યારે મને સંભારજે; ત્યાં સુધી નહિ.'

સનાતનને આ સલાહમાં સત્ય લાગ્યું. તેને હજી આશા અને ઉત્સાહ વળગેલાં હતાં. તે ધનવાન થવા માગતો હતો. ધનવાન બનીને તેને હજી મંજરીને દુઃખમાંથી ઉગારવી હતી. એ કાર્ય હજી શરૂ થયું નહોતું. પછી તે પૂરું કર્યા સિવાય બીજા માર્ગમાં જવું એ તેને કાયરતા લાગી. મંજરી પ્રથમ અને બીજું બધું પછી. એક વખત મંજરીના પગ પાસે લક્ષ્મીનો ભંડાર ઠલવાય ત્યાર પછી બીજું કાર્ય થાય ત્યાં સુધી કાંઈ જ નહિ.

પણ મંજરી ક્યાં ?

સનાતનના હૃદયમાં તે હજી એમ જ માનતો હતો કે મંજરી તેની ખાતર બેસી રહી છે. ધીમે ધીમે ધનસંચય કરી સનાતન લાવશે, તેના પગ આગળ મૂકી દેશે અને પછી સનાતનના દ્રઢ નિશ્ચય અને બીજા ગુણો ઉપર વારી જઈ તે એક સ્મિત કરશે, એટલે પૂરતો બદલો મળી જશે !

એ સ્મિત કદાચ પોતાનું વર્તુલ લંબાવે અને સનાતનના જીવનને તેમાં ભેળવી દે. મંજરી સનાતનની પણ થાય !

આવી આશા સનાતને કદી છોડી નહિ અને ચિતરંજનની સોબત છોડી તે ફરી જગતમાં ઝંપલાવવા તૈયાર થયો.

પણ મંજરી ક્યાં ?