આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાષ્ટ્રભાવના છતાં માસિક રૂપિયા પંદરમાં શિક્ષક તરીકે કામ કરવા હું બંધાઉં કે કેમ એ વિષે મને શંકા છે. તમારી નિશાળોમાંથી ફાયદો થશે અને તે તમને વહેંચી આપવામાં આવશે તેવો વિચાર જો તમારા મનમાં હોય તો કાઢી નાખજો. તેથી જો તમારામાંથી કોઈને આ કરાર કરવામાં ભૂલ થયેલી જણાય, તો તમે પ્રધાનને મુક્ત કરવા કહી શકો છો. હું તમારી વતીથી તેમને કહીશ.આ કહીને જેઓ કરારથી બંધાયા છે તેમને હું ધન્યવાદ આપું છું. હું આશા રાખું છું કે, ઈશ્વર તમને તમારું વ્રત પાળાવાની તાકાત આપશે.

તમે જાણો છો કે, આ કેળવણીની યોજના મહાસભાના કાર્યક્રમને અનુસરીને કરવામાં આવી છે. મહાસભા અહિંસા અને સત્યથી સ્વરાજ લેવા બંધાયેલી છે. તેથી આ મુખ્ય ગુણોનું પાલન આ યોજનાનું મૂળ છે. અને તેથી જો આ તમે તમારા વિદ્યાર્થીઓ સાથેના રોજેરોજના વહેવારમાં નહીં બતાવો અને એને છાજતું ચારિત્ર્ય નહીં રાખો, તો તમે અને તમારી નિશાળ નિષ્ફળ જશે. હિટલર જર્મનીમાં શું કરે છે એની તમને ખબર છે. એનો સિધ્ધાંત હિંસા છે, અને તે છડેચોક જાહેર કરે છે. આપણને હમણાં જ કહેવામાં આવ્યું હતું કે તલવાર તેમનો આત્મા છે. છોકરા અને છોકરીઓને ત્યાં શરૂઆતથી જ હિંસા શીખવવામાં આવે છે. તેમના અંકગણિતમાં પણ દુશ્મનને ધિક્કરવાનું શીખવવામાં આવે છે, અને લશ્કરી વૃત્તિ તેમનામાં વધારવા માટે દાખલા પસંદ કરવામાં આવે છે.જો આપણે તેમનો સિધ્ધાંત માન્ય રાખીએ, તો બાલપણથી હિંસક વૃત્તિ ખીલવવાની જરૂરિયાત પણ આપણે કબૂલ રાખવી જોઈએ.એ જ વસ્તુ ઇટલીમાં બને છે. તેમની માફક આપણે પણ પ્રમાણિક થવું જોઈએ. મને ખાતરી છે કે, જો તે હિંદુસ્તાનભરમાં પ્રચલિત થાય, તો એક શાંત ક્રાંતિ થશે અને સ્વરાજ આવતાં વાર નહીં લાગે.

ह૦ बं૦ , ૮-૫-'૩૮

૧૦૫