આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૧
રાષ્ટ્રીય કેળવણીકારોને

['આગામી શિક્ષણ પરિષદ' એ લેખ]


વર્ધાના મારવાડી વિદ્યાલયે થોડા વખત પર નવભારત વિદ્યાલય એ નવું નામ ધારણ કર્યું છે. એ વિદ્યાલય એનો રજતઉત્સવ ઉજવે છે. વિદ્યાલયના સંચાલકોને વિચાર આવ્યો કે, એ પ્રસંગે રાષ્ટ્રીય વિચારવાળા કેળવણીકારોની એક નાની પરિષદ બોલાવવી, અને કેળવણીની જે યોજના હું આ પત્રમાં સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું તેની ચર્ચા કરાવવી. વિદ્યાલયના મંત્રી શ્રી શ્રીમન્નારાયણ અગરવાલે આવી પરિષદ ભરવાની યોગ્યતા વિષે મારી સલાહ પૂછી, અને હું એ વિચાર પસંદ કરું તો મારે પ્રમુખ થવું એવી માગણી કરી. મને બંને સૂચનાઓ ગમી. એટલે આ પરિષદ વર્ધામાં ઑક્ટોબરની ૨૨મી અને ૨૩મીએ ભરાશે.જેમને પરિષદમાં આવવાની ઇચ્છા હોય, છતાં નિમંત્રણ ન મળ્યાં હોય, તેઓ મંત્રીને વિનંતી કરે, તેની સાથે પોતાનાં નામઠામ અને એવી બીજી વિગતો આપે, જેથી એમને નિમંત્રણ , મોકલી શકાય એમ છે કે કેમ તે મંત્રી નક્કી કરી શકે. જેઓ આ પ્રશ્નમાં ઊંડો રસ લેતા હોય ને ચર્ચામાં ઉપયોગી ફાળો આપી શકે એમ હોય, તેવાઓની બહુ નાની સંખ્યાને માટે જ જોગવાઈ કરવામાં આવે છે.

પરિષદને અંગે કશો ઠાઠ કે મોટા દેખાવો જરાયે થવા દેવાનો ઇરાદો નથી. કોઈને પ્રેક્ષક તરીકે આવવા દેવામાં નહીં આવે. પરિષદ કેવળ કામકાજને સારુ જ ભરાવાની છે. છાપાંના પ્રતિનિધિઓને સારુ ગણીગાંઠી ટિકિટો જ કાઢવામાં આવશે. છાપાંવાળાઓને મરી સલાહ છે કે, તેઓ એકબે પ્રતિનિધિ ચૂંટી કાઢે ને તેમણે મેળવેલા હેવાલોમાં ભાગ પડાવે.

આ કામમાં મેં શ્રધ્ધાપૂર્વક છતાં અતિ નમ્રતાપૂર્વક માથે લીધું છે. મારા જ વિચારો સાચા છે ને બીજાના ખોટા છે એવો આગ્રહ મારા મનમાં નથી. જે કંઈ નવું શીખવા મળે તે શીખવાની, અને જ્યાં જરૂર જણાય ત્યાં મારા વિચારો ફેરવવાની ને સુધારવાની મારી ઇચ્છા છે.

૪૩