આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પરિષદ આગળ જે સૂચનાઓ હું ચર્ચા માટે રજૂ કરવાનો છું, ને મને અત્યારે સૂઝે છે તે પ્રમાણે, આ છેઃ

૧. અત્યારની શિક્ષણપધ્ધતિથી દેશની જરૂરિયાત કોઈ પ્ણ રીતે સંતોષાતી નથી. શિક્ષણની ઉપલી સર્વ શાખાઓમાં અંગ્રેજી દ્વારા શિક્ષણ અપાતું હોવાને લીધે ઊંચું શિક્ષણ પામેલા થોડા લોકો અને નિરક્ષર બહુજનસમાજ એ બેની વચ્ચે કાયમનું અંતર પડી ગયેલું છે, એને લીધે જ્ઞાન જનસમૂહમાં વ્યાપતુ અટક્યું છે. અંગ્રેજીને અપાયેલા વધારે પડતા મહત્વને લીધે શિક્ષિત વર્ગ ઉપર જે બોજો પડ્યો છે,તેને લીધે તેઓમાં જીવનભરનું માનસિક અપંગપણું આવી ગયું છે, અને તેઓ સ્વદેશમાંજ પરદેશ જેવા બની ગયા છે. ઉદ્યોગશિક્ષણના અભાવે શિક્ષિત વર્ગને કંઈ પણ ઉત્પાદક કામ માટે લગભગ નાલાયક બનાવી મૂક્યો છે ને તેમનાં શરીરને ભારે હાનિ કરી છે. પ્રાથમિક કેળવણી પર ખરચાયેલા પૈસા એળે જાય છે, કેમ કે બાળકોને જે કંઈક થોડું શીખવવામાં આવે છે, તે તો થોડાજ વખતમાં ભૂલી જાય છે; અને એ ભણતર ગામડાં કે શહેર એકેને માટે કંઈ જ ઉપયોગનું નીવડતું નથી. શિક્ષણની ચાલુ પધ્ધતિ જે લાભ મળે છે તે પણ કર ભરનાર મુખ્ય વર્ગને મળતો નથી,કેમ કે એમનાં બાળકોને તો સૌથી ઓછું શિક્ષણ મળે છે.

૨. પ્રાથમિક શિક્ષણનો ક્રમ વધારીને ઓછામાં ઓછા સાત વરસનો કરવો જોઈએ; મેટ્રિક્માંથી અંગ્રેજી બાદ કરીએ અને ઠીક ઠીક ઉદ્યોગશિક્ષણ ઉમેરીએ એટલું સામાન્માન્યજ્ઞાન એટલા વખતમાં અપાવું જોઈએ.

૩. બાળકો અને બાળાઓના સર્વાંગી વિકાસને સારુ સર્વ શિક્ષણ, બની શકે ત્યાં લગી, કંઈક લાભદાયક ઉદ્યોગો દ્વારા અપાવું જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો, ઉદ્યોગો બેવડી ગરજ સારે - એક તો વિદ્યાર્થી પોતાના પરિશમના ફળ દ્વારા પોતાના શિક્ષણનું ખરચ આપી શકે; અને બીજું સાથે સાથે નિશાળમાં શીખેલા ઉદ્યોગથી તેનામાં રહેલ પુરુષત્વ કે સ્ત્રીત્વનો સર્વાંગી વિકાસ થાય.

જમીન, મકાનો અને સાધનસામ્રગીની કિંમત વિદ્યાર્થીની મહેનતની કમાણીમાંથી નીકળે એવો ઇરાદો રાખેલો નથી.

૪૪