આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નિષ્ણાત થાય, તે ઉપરાંત તેમને જે વિષયો શીખવાના હશે તેમાં પણ એટલી જ આવડત બતાવવાની રહેશે.

આ યોજનાનો વ્યવહારમાં અમલ કેમ થઈ શકે અને છોકરા છોકરીઓને એક પછી એક વરસે શું શું શીખવાનું રહેશે, એ ડૉ. ઝાકિર હસેનની સમિતિના પરિશ્રમ પરથી આપણે જાણી શકીશું.

એક વાંધો એવો ઉઠાવવામાં આવ્યો છે કે, પરિષદમાં શા ઠરાવો થવાના છે તે તો અગાઉથી નક્કી થઈ ચૂકેલું જ હતું. આ વાંધો છેક જ વજૂદ વિનાનો છે. આખા દેશમાંથી કેળવણીકારોને ગમે તેમ પસંદ કરીને બોલાવવા અને તેમને મન જે યોજના બેશક ક્રાંતિકારક હતી તેના પર તેમને એકાએક મત પ્રદર્શિત કરવાનું કહેવું, એ વસ્તુતઃ અશ્ક્ય હતું. એટલે જેમણે શિક્ષક તરીકે ઉદ્યોગશિક્ષણનો કંઈકે અનુભવ લીધેલો એવાઓને જ નિમંત્રણો મોકલવામાં આવ્યાં હતાં. રાષ્ટ્રીય શિક્ષણનું કાર્ય કરનારા સાથીઓ આ નવી કલ્પનાને સમભાવપૂર્વક ઝીલી લેશે એવો ખ્યાલ મને પોતાને જ નહોતો. આ યોજના જ્યારે ઝાકિર હુસેન સમિતિ મારફતે મૂર્ત અને વધારે પૂર્ણ રૂપે પ્રજાની આગળ આવશે, ત્યારે કેળવણીકારોના વિશાળ વર્ગને એના પર વિચાર કરવાનું નિમંત્રણ જરૂર અપાશે. જે કેળવણીકારો પાસે મદદગાર થઈ પડે એવી સૂચનાઓ હોય તેમને મારી વિનંતિ છે કે, તેઓ એ સૂચનાઓ સમિતિના મંત્રી શ્રી આર્યનાયકમને વર્ધાને સરનામે મોકલી આપે.

પરિષદમાં એક વક્તાએ ભાર દઈને કહ્યું કે, નાનાં છોકરા છોકરીઓને શિક્ષણ આપવાનું કામ પુરુષો કરતાં સારી રીતે સ્ત્રીઓ કરી શકે; અને કુમારિકાઓ કરતાં સારી રીતે માતાઓ કરી શકે. બીજી દૃષ્ટિએ પણ, અધ્યાપક શાહની ફરજિયાત સેવાની યોજનામાં ભળવાની અનુકૂળતા એમને વધારે છે. જે દેશપ્રેમી મહિલાઓની પાસે ફુરસદનો વખત હોય તેમને આ એક સૌથી મોટા સત્કાર્યમાં પોતાની સેવા અર્પણ કરવાની આ સરસ તક છે, એમાં શંકા નથી. પણ તેઓ જો તૈયાર થાય તો તેમણે પૂરતી પ્રાથમિક તાલીમ લેવી પડશે. આજીવિકાની ખોળમાં પડેલી ગરજવાન બહેનો, જે આ પ્રવૃત્તિને એક ધંધો માનીને તેમાં જોડાવાનો

૭૫