આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અર્થ એ છે કે, યોજનાકારો શિક્ષકો પાસેથી એવી આશા રાખે છે કે, તેઓ, અમુક પસંદ કરેલા ગામડાંના હાથૌદ્યોગ મારફતે અને ઉપરથી લાદેલાં બંધનો તથા દખલગીરી વગરના સ્વતંત્ર વાતાવરણમાં, પોતાનાં ગામડાંનાં બાળકોની બધી શક્તિઓ ખીલી આવે એ રીતે, એમને કેળવણી આપશે.

આ પ્રમાણે વિચારતાં આ યોજના ગામડાંનાં બાળકોની કેળવણીમાં એક ક્રાંતિ છે. કોઈ પણ અર્થમાં, પશ્ચિમથી આયાત કરેલી એ વસ્તુ નથી. જો વાચક આ વસ્તુ ખ્યાલમાં રાખશે તો , જે યોજનાને તૈયાર કરવામાં દેશના કેટલાક ઉત્તમ કેળવણીકારોએ પોતાનું અનન્ય ધ્યાન અર્પેલું છે, તેવી આ યોજનાને તે વધારે સહેલાઈથી સમજી શકશે.

સેગાંવ, વર્ધા, ૨૮-૫-'૩૮


૧૯
"તળિયું સાબૂત છે"

[વર્ધા શિક્ષણ યોજના બહાર પડી પછી આ૦ કૃપલાનીએ તેના ભાષ્યરૂપે અંગ્રેજીમાં 'ધી લેટેસ્ટ ફૅડ' (તાજેતરનું ગેલું) એવું મજાકી છતાં આકર્ષક નામ આપીને પુસ્ત્ક બહાર પાડ્યું હતું. [૧] ગાંધીજીએ તેની પ્રસ્તાવના લખી છે, તે નીચે ઉતારી છે. -સં]

આ ચોપડી હું અથેતિ જોઈ ગયો છું. અનુભવમાં આવતી એક ઊણપ એનાથી પુરાશે. જેને મારું 'તાજેતરનું ઘેલું' કહેવામાં આવ્યું છે, - અને તેય વળી કેળવણીના ક્ષેત્રમાં ! - તે વિષે જિજ્ઞાસુઓને જે અનેક શંકાઓ પજવે છે, તે બધીનો જવાબ આપવાનો આ ચોપડીમાં પ્રયત્ન છે. આ૦ કૃપલાનીએ ઘણાં વરસ કેળવણીકાર તરીકે કાઢ્યાં છે. તેમણે આ ચોપડીમાં એ બતાવવા પ્રયત્ન કર્યો છે કે, આ 'ઘેલા'નું તળિયું બરોબર સાબૂત છે.


  1. તેનો ગુજરાતી અનુવાદ 'સર્વોદયની કેળાવણી' નામથી ગુજરાતે વિદ્યાપીઠે બહાર પાડ્યો છે તે જુઓ કિં. રૂ ૧.૨૫ ટપાલ રવાનગી ૦.૩૦)
૮૦