આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મેળવતાં અનેક ચાલાકીઓ ને કરામત કરવી પડે છે — ગ્રામવાસી પ્રજાના અંદાજપત્રમાં પણ પાસાં મળી રહે.”

એક મહાસભાવાદી પ્રધાન ઉપર પ્રમાણે લખે છે. મારી પાસે આપખુદ માણસની સત્તા હોય તો હું ઓછામાં ઓછું પ્રાથમિક નિશાળોમાં તો હાથકાંતણ અવશ્ય ફરજિયાત કરું. જે પ્રધાનમાં શ્રદ્ધા હોય તેણે એમ કરવું જોઈએ. આપણી નિશાળોમાં કેટલીયે નકામી ચીજોને ફરજ્યિાત બનાવવામાં આવે છે. તો આ અતિઉપયોગી કળાને ફરજિયાત શા માટે ન બનાવવી જોઈએ ? પણ લોકશાસનવાળા તંત્રમાં કોઈ વસ્તુ બહોળા પ્રમાણમાં લોકપ્રિય ન હોય તો તેને ફરજિયાત કરી શકાય નહીં. આમ લોકશાસનમાં ફરજિયાતપણું નામનું જ હોય છે. તે આળસને ઉડાડે છે, પણ લોકોની ઈચ્છા પર બળજબરી નથી કરતું. એવું ફરજિયાતપણું એ એક શિક્ષણની ક્રિયા છે. હું એના કરતાં હળવો એક પ્રારંભિક માર્ગ સૂચવું છું. સૌથી સારું કાંતનાર બાળક કે બાળાને ઈનામ અપાવાં જોઈએ. આ હરીફાઈથી બધાં નહીં તો ઘણાંખરાં તેમાં ભાગ લેવા પ્રેરાશે. કોઈ પણ યોજનામાં જો શિક્ષકોને પોતાને આસ્થા ન હોય તો તે સફળ થવાની નથી. પ્રાંતિક સરકારો જો પાયાની કેળવણીનો સ્વીકાર કરે તો હાથકાંતણ વગેરે અભ્યાસક્રમમાં કેવળ અંગ જ નહીં પણ શિક્ષણનું વાહન બને. પાયાની કેળવણી જો જડ ઘાલે તો આપણી આ પીડિત ભૂમિમાં ખાદી જરૂર સાર્વત્રિક અને પ્રમાણમાં સોંઘી થાય.

સેગાંવ, ૯-૧૦-'૩૯

ह० बं०, ૧૫-૧૦-'૩૯

૮૯