આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વિદ્યાર્થીઓને વર્ધાયોજનાને ધોરણે શિક્ષણ આપી શકો. તમારામાં એટલી શ્રધ્ધા હોવી જોઈએ કે આ યોજનાથી ધાર્યો હેતુ સરશે.

"દેશમાં યાંત્રિક ઉદ્યોગો ફેલાવવાની યોજનાઓ ભલે રજૂ થતી હોય, પણ મહાસભાએ જે ધ્યેય અત્યારે નજર આગળ રાખ્યું છે, તે યાંત્રિક ઉદ્યોગોનો પ્રચાર કરવાનું નથી. મહાસભાએ મુંબઈમાં પસાર કરેલા ઠરાવ પ્રમાણે તેનું ધ્યેય ગ્રામઉદ્યોગોને સજીવન કરવાનું છે. તમે મોટા યાંત્રિક ઉદ્યોગોની વિશાળ યોજનાઓ ખેડૂતો આગળ મૂકીને જનસમૂહની જાગૃતિ સાધી શકવાના નથી. એથી એમની આવકમાં એક પૈસાનો પણ વધારો થવાનો નથી. પણ ચરખા સંઘ અને ગ્રામોદ્યોગ સંઘ એક વરસની અંદર તેમનાં ગજવામાં લાખો રૂપિયા મૂકશે. મહાસભાની કાર્યવાહક સમિતિનું કે પ્રધાનમડળોનું ગમે તે થશે તોપણ મહાસભાની રચનાત્મક પ્રવૃત્તિઓને કશી આંચ આવશે એવી બીક મને પોતાને નથી. એ પ્રવૃત્તિઓ મહાસભાએ શરૂ કરેલી છે ખરી, પણ લાંબા વખતથી તેઓ સ્વતંત્ર હસ્તી ધરાવતી આવી છે ને પોતાની યોગ્યતા તેમણે પૂરેપૂરી સિધ્ધ કરી બતાવી છે. પાયાની કેળવણી એ એનો એક ફણગો છે. શિક્ષણ-પ્રધાનો કદાચ બદલાશે, પણ આ યોજના તો કાયમ રહેશે. એટલે જેમને પાયાની કેળવણીમાં રસ હોય તેમણે મહાસભાના રાજકારણની ફિકર કરવાની જરૂર નથી. નવી શિક્ષણ યોજના જીવશે કે મરશે તે પોતાના ગુણે કે અવગુણે કરીને.

"પણ આવા પ્રશ્નોથી મને સંતોષ થતો નથી. એનો પાયાની કેળવણી સાથે સીધો સંબંધ કશો નથી. એથી આપણે જરાયે આગળ વધતા નથી.હું તો ઈચ્છું છું કે, તમે મને આ યોજના સાથે સીધો સંબંધ ધરાવનારા પ્રશ્નો પૂછો, જેથી હું તમને નિષ્ણાત તરીકે સલાહ આપી શકું."

કેંદ્રવર્તી કલ્પના

સભામાં જતાં પહેલાં એક ભાઈએ પૂછેલું: "આ યોજનાની પાછળ કેંદ્રવર્તી કલ્પના એવી છે ખરી કે જેનો તકલી સાથે સંબંધ ન સાધી શકાય એવી એક પણ વાત શિક્ષકે વિદ્યાર્થીને ન કહેવી?"

૯૫