આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આનો જવાબ સભામાં આપતાં ગાંધીજીએ કહ્યું:

"આ તો મારી નાલેશી છે. બધા શિક્ષણનો કોઈક પાયાના ઉદ્યોગ સાથે સંબંધ સધાવો જોઈએ એમ મેં કહ્યું છે એ સાચું છે. તમે જ્યારે કોઈ ઉદ્યોગ વાટે સાત કે દસ વરસના બાળકને જ્ઞાન આપતા હો ત્યારે, શરૂઆતમાં, એ વિષયની સાથે જેનું અનુસંધાન ન સાંધી શકાય એવા બધા વિષયો તમારે છોડી દેવા જોઈએ. એમ રોજેરોજ કરવાથી, તમે શરૂઆતમાં છોડી દીધેલી એવી ઘણી વસ્તુઓનું અનુસંધાન ઉદ્યોગ જોડે સાધવાના રસ્તા તમે શોધી કાઢશો. આવી રીતે તમે શરૂઆતમાં કામ લેશો તો તો તમે તમારી પોતાની ને વિદ્યાર્થીઓની શક્તિ બચાવી શકશો. આજે તો આપણી પાસે જેનો આધાર લઈ શકાય એવાં પુસ્તકો નથી, આપણને રસ્તો બતાવે એવાં અગાઉનાં દૃષ્ટાંતો નથી, તેથી આપણે આસ્તે આસ્તે ચાલવું રહ્યું છે. મુખ્ય વસ્તુ એ છે કે, શિક્ષકે પોતાના મનની તાજગી સાચવી રાખવી જોઇએ. જેનું ઉદ્યોગની સાથે અનુસંધાન ન સાધી શકાય એવો કોઈ વિષય તમારી આગળ આવે તો તમે એથી ખીજાશો કે નિરાશ થશો નહીં, એને છોડી દેજો ને જે વિષયોનું અનુસંધાન સાધી શકો તે આગળ ચલાવજો. સંભવ છે કે, બીજો કોઈ શિક્ષક ખરો રસ્તો શોધી કાઢશે ને એ વિષયનું ઉદ્યોગની સાથેનું અનુસંધાન કેમ કરી શકાય એ બતાવશે. અને તમે ઘણા અનુભવનો સંગ્રહ કરશો પછી તમને રસ્તો બતાવવાને પુસ્તકો પણ મળી રહેશે, જેથી તમારી પછી આવનારાઓનું કામ વધારે સરળ થઈ પડશે.

"તમે પૂછશો કે, જે વિષયોનું અનુસંધાન સાધી શકાય તે ટાલી મૂકવાની ક્રિયા અમારે કેટલો બખત ચલાવવી? તો હું કહું કે જિંદગીભર. અંતે તમે જોશો કે ઘણી ચીજો જે તમે પહેલાં શિક્ષણક્રમમાંથી બાતલ રાખેલી તેનો તમે સમાવેશ કર્યો હશે, જેટલી વસ્તુઓ સમાવેશ કરવા યોહ્ય હતી તે બધીનો સમાવેશ થઈ ચૂક્યો હશે, અને તમે આખાર સુધી જે બાતલ રાખી હશે તે બહુ નિર્જીવ ને તેથી બાતલ રાખવા યોગ્ય જ હશે.આ મારો જિંદગીનો અનુભવ છે. મેં ઘણી ચીજો બાતલ ન રાખી હોત તો હું જે ઘણી વસ્તુઓ કરી શક્યો છું તે ન કરી શક્યો હોત.

૯૬