"કાં બાપ ?'
“તમે સંત છો. સતિયા છો. અમારી તરસ ટાળીને પછી નીકળો.”
“અરે ભાઈ, મારામાં એવું સત નથી. મારી આબરૂ ન લે. તુંય સંત છે આપા શાદુળ !”
“સંત છું. પણ કાઠી સંત છું.”
“મારો બત્રીસો ચડાવવો છે?"
"તે પણ કરું.”
“ઠીક ભાઈ, તું મારી ઈજ્જત લઈને રાજી થાજે.”
"શો વિચાર છે?”
“મારો એકતારો મોકલો.”
રસી બાંધીને એકતારો કૂવાને તળિયે ઉતારવામાં આવ્યો. દાસી જીવણે ચાર ભજન ગાયાં. કહેવાય છે કે જળ આવ્યું. સંગીતના જોરે.
સંતને બહાર કાઢવામાં આવ્યા. પણ સંતનું દિલ દુભાયું હતું.
શાદુળે કહ્યું: “આ જગ્યા ને આ કૂવો જીવશે ત્યાં સુધી આભડછેટના ભેદ વિના જગત આંહીં પાણી પીશે.”
"નહીં પીઉં એક ફક્ત હું.” કહીને જીવણદાસ ચાલી નીકળ્યા.
શાદુળ ભગતનો મદ ભાંગ્યો. એક ચમારને સાદે જળદેવે જવાબ દીધા. હું શું છું?
દિવસે દિવસે એનું દિલ દ્રવતું જ ચાલ્યું. એણે ઊંચનીચના ભેદ છોડી દીધા. એક દિવસ એણે સાંભળ્યું કે ચોડવડીનો એક ઢેડ, દર વરસે જગ્યાની ધજા બનાવવા માટે બાર હાથ પાણકોરું આપી જતો તે મરી ગયો.
શાદુળ ભગત ચોડવડી ગયા. શબ પડ્યું હતું. ડાઘુઓ ભેગા થયા હતા, પોતે જઈને એને પોતાનો ચીપિયો