પરોઢ થાય છે ને હમેશ એ ઝુંપડીએ કોઈ પોચો પગરવ સંભળાય છે.
“લાલારામ ! મોતીરામ ! વેળા થઈ ગઈ કે ?" એમ જવાબ દેતો જોગી મેકરણ ઝૂંપડીનું બારણું ઉઘાડે છે.
ઝૂંપડીને આંગણે ઊભનારા એ લાલારામ ને મોતીરામ મનુષ્યો નહોતા. મનુષ્યોથી કંઈક વિશેષ હતા — એક ગધેડો ને એક કૂતરો હતા.
મેકરણ સાધુ એ ગધેડાને માથે છાલકું મૂકતા અને છાલકાનાં બે ખાનાંમાં અક્કેક પાણી ભરેલ માટલું ગોઠવતા. ગોઠવતા એ ગધેડા લાલારામના ગુણ ગાતા —
લાખિયો મુંજો લખણે જેડો
હુંદો ભાયા જેડો ભા !
બ કાં ચા લખ ધોરે ફગાયાં
લાલિયા, તોજી પૂછડી મથા.
"લાલિયા મારા ભાઈ જેવા ભાઈ ! લખવા જેવું તે તારું ચરિત્ર છે. અરે લાલિયા, તારી તો એક પૂંછડી માથે પણ હું બેચાર લાખ માનવીઓને ઘેાળ્યાં કરી ફેંકી દઉં, તુચ્છ ગણું. તારા જેવા ગુણો મને કયા માનવીમાં જડશે?"
“અરે મોતિયા !” સાધુ પોતાના પડખામાં પેસીને હાથ ચાટનારા કૂતરાને કહેતાઃ “તને હું ભૂલી ગયો છું એમ તે માન્યું? લે, આ તારા નામની સાખી :
મોતિયો કુતો પ્રેમજો
ને ડેરી વીંધી હીરજી
જીયાં મને પાંચે ઈંયાં લે જાય.
"જાવ ભાઈ! મારા સાચા બે ટેલવાઓ! ઊપડો હવે.”