આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'જેસલ જગનો ચોરટો'
૧૬૭
 


અંજારની વસ્તીનું અઢારે વરણ જોઈ રહ્યું. આ જેસલ જાડેજો ક્યાં જાય છે ? માથે ગાંસડી શેની છે ? એલી બાયડીનાં લૂગડાં ધોવા જાય છે આ તો ! આટલો બધો રાંક કેમ બની ગયો હશે ?

સરોવરની પાળે જેસલ તોળલના ઘાઘરા, સાડલા ને કપડાં ધુએ છે. લોકો એની નિંદા કરે છે.

"જેસલ જાડેજા,” તોરલ કહે છે: “શરમાશો નહીં. આ કલિયુગમાં તો નિંદાની ટંકશાળ પડશે. એ નિંદાનાં નીર થકી જ સાધુજનો નિર્મળાં બને છે. એ નિંદાથી જ શિર પરનો ભાર ઊતરશે.” નિંદાતો નિંદાતો જેસલ નવાણે – પહેાંચ્યો ન પહોંચ્યો ત્યાં તો દેહ એને ઊજળું બની ગયો.


૪. પ્રકૃતિનો દ્રોહ

વાયક આવ્યાં રે સંતો દો જણાં
ત્રીજું કેમ સમાય રે?

પંથ ઘણો ને જાવું એકલું,
પાળા કેમ ચલાય રે?
શબદુંના બાંધ્યા સંતો કેમ રે'વે હાં !

સાધ હોય ઈ સંતો કેમ રે'વે.
સોનલા-કટારી સતીએ કર ધરી,
પાળી માંડી છે પેટ,
કૂખ છેદી, કુંવર જલમિયો;
એ જી જનમ્યો માજમ રાત. — શબદુંના૦

હીરની દોરીમો બાંધ્યો હીંચકો,
બાંધ્યો આંબા કેરી ડાળ;
પવન-હીંચોળા હરિ મોકલે.
આતમ તારો ઓધાર. – શબદુંના૦