લઈને ગિરનાર ભણી ચાલી નીકળ્યો.
ગિરનારની તળેટીમાં બીલખાની નજીક રામનાથને નાકે એણે પૂરતો ચારો દીઠો, દિલ ઠર્યું, ત્યાં મુકામ કીધા. રામનાથનું મંદિર તે કાળમાં ગીચ ઝાડી વચ્ચે વીંટળાયેલું હતું. પગથિયાં નહોતાં બંધાયાં. લોકોનો અવરજવર ઓછો હતો. રામનાથની એવી વિકટ, વિકરાળ અને સૂનકાર જગ્યામાં થોડાએક સુપાત્ર સાધુઓ જ રહેતા અને તે સહુના ગુરુ જયરામગરજી હતા.
બહુ નાની વયમાં જયરામગરજીનું ત્યાં આવવું થયું હતું, વખત જતે જતે એ જોગીએ નજીકમાં ગધેસિંગના ડુંગરા ઉપર વસતા એક વૃદ્ધ ફકીર નૂરશાહનો સત્સંગ સાધ્યો હતો, અને નૂરશાહની મદદથી પોતે યોગાભ્યાસમાં પણ આગળ વધ્યા હતા. મુસ્લિમ ગુરુ અને હિન્દુ ચેલાની વચ્ચે એકાત્મતા તે એટલી બધી આવી ગયેલી કે જયરામગરજીનું નામ પણ 'જયરામશાહ' બની ગયું હતું. લોકોની જીભ ઉપર હિન્દુમુસલમીન સંસ્કારોનો 'અભેદ’ આવી લાક્ષણિક રીતે અંકિત થઈ ચૂક્યો હતો. પંથદ્રષ્ટિમાંથી છૂટી ગયેલા પ્રભુપંથીઓ કેટલા આસાનીથી એકરસ બની જતા ! ભેદબુદ્ધિનું ઝેર પી જનારા આવા સંતો આજે નથી રહ્યા — હશે તો જગતને એની જાણ નથી. ખેર ! લોકવાયકા એવી છે કે જીવા રબારીનું વાંઝિયામહેણું આ જયરામશાહની દુઆથી મટેલું ને જીવાનો પુત્ર દેવો લગ્નસંસાર માંડી, બે દીકરાને પિતા બની પછી જ જગતનાં દુખ્યાંભૂખ્યાંની ચાકરી કરવા ઘર તજી ગયો હતો.
પ્રથમ એણે ચોડવડા ગામની હદમાં ઝુંપડી બાંધી. કહેવાય છે કે જયરામશાહે જીવાને એક બિયું આપેલું, ને એ સાચવી છેવટે દેવો માગે ત્યારે આપવા કહેલું. માતાપિતાની પાસેથી મળેલું એ બિયું દેવાએ આ ચોડવડા પાસેની પોતાની