આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ સત્તરમું

૧૨૪


'હા બાપ, ઈ વાત તો સૌએ ભેળા મળીને દાટી દીધા જેવી કરી છે. પણ વીવા નક્કી થયેલો.'

'વેગડા ભીલની દીકરી સાથે?'

'હા.'

'કાંઇ મેલું તો નહિ ને?' નાગાજણના પ્રશ્નનો મર્મ એ હતો કે રખે હમીરજીએ ફક્ત રસ્તામાં જુવાનીને સહજ એવી થોડી નબળાઇ આચરી હોય.

'ના બાપ. જરીકે મેલું કે હીણું નહિ. સોમૈયાની સખાતે જાતાં ગોહિલજી વેગડા ભીલના મહેમાન બન્યા. વાળુ કરવા બેઠા. ઝાંખે દીવે પિરસવા આવેલી ભીલકન્યાને જોઇ. ને પછી એણે જ વેગડાજી પાસે વાત મૂકી કે મરવા જાઊં છું, પણ પાછળ વંશ નહિ રહે. વેગડાએ પોતાની દીકરીને પણ એ રાતે એકલી એકલી આંસુડાં પાડતી દીઠી. દીકરીએ તો હમીરજીને જ પોતાનો ધણી ધારી લીધેલ છે એવી એને જાણ પડી, પછી બીજે જ દિ' ત્યાં રીતસર વીવા થયો ને હમીરજીએ એક રાતનો સંસાર ભોગવ્યો.'

'આઇ. એ બાઇ હાથ આવેલ છે. બાઇને જુવાન બેટડો છે. એ કહે છે કે હમીરજીનું બાળ છે.'

આઇ થોડી ઘડી આંખો મીંચી ગયાં. પછી એણે જવાબ દીધો : 'જોગમાયા કહે છે કે બેય સાચાં.'

'પરગટ કરાય?'

'શું કરવા?'

'સોમનાથના રક્ષણહારનું બાળ સૌ રાજકુળો કબૂલે, કોઈક ઊંચું કુળ એને કન્યા આપે. ને એ રીતે રાજકુળો એક થાય.'