પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૩૨

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


જગદીપ : તમારા આ મિત્રકાર્ય વિના મારો પ્રેમ અપંગ રહેત. હું વસતીથી દૂર ઉછર્યો છું, અને પ્રેમીઓની યુક્તિઓથી અજાણ્યો છું.
દુર્ગેશ :

જેવો હિરો હોય જડ્યા વિનાનો,
ગૂંથ્યા વિનાનું ફુલ હોય જેવું;
તેવો દિસે આ તમ પ્રેમ સાદો,
ન યુક્તિઓમાં ભળિ કાન્તિ જેની. ૭૪

જગદીપ : મને ન સૂઝી તે યુક્તિ એકાન્તમાં વસનારી એ ઋજુ બાલિકાને આવડી છે!
દુર્ગેશ : પ્રેમ અદ્ભુત થયા પછી સ્ત્રીને પ્રેમયુક્તિઓ શીખવા જવું નથી પડતું.
જગદીપ : અરે ! કનકપુરની ખબરો તમને પૂછવાનું તો હું ભૂલી જ ગયો છું.
દુર્ગેશ : મને તમારા કરતાં કનકપુરની કંઈ વધારે ખબર નથી; કેમકે, તમે રાજસભામાંથી નીકળ્યા પછી તરત જ હું તમારી શોધમાં નીકળ્યો છું. પરંતુ, તમે બારોબાર નીકળી આવ્યા ને હું મારા પ્રયાણની ખબર કમલાને કહેવા ગયો, એથી આપણા વચ્ચે અન્તર પડી ગયું.
જગદીપ : કુંવારા અને પરણેલા વચ્ચે એટલું અન્તર તો હોય જ ! પણ તમે મને શી રીતે ખોળી કાઢ્યો ?
દુર્ગેશ : તમે રાજસભામાં વૃતાન્ત કહેતાં કિસલવાડીનું ઠેકાણું કહેલું, તેથી પહેલાં ત્યાં હું તમારી ખબર કાઢવા ગયેલો. ત્યાંથી કાંઈ પત્તો મળ્યો નહિ, તેથી નગરની ચારે દિશામાં ફરીને શોધ કરવા માંડી. અને અન્તે, નદી પ્રત્યેની તમે ઘણી વાર દર્શાવેલી આસક્તિ પરથી તમે કોઈ ઠેકાણે
૧૨૫
રાઈનો પર્વત