પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૫૪

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


જગદીપ : મા ! તું તારા મનને નિરાશાથી કેમ ઘેરાવા દે છે ? તારા આશાવન્તપણામાં આખા યુગને પ્રોત્સાહિત કરવાનું સામર્થ્ય હતું તે ક્યાં ગયું ?
અમૃતદેવી : કચડાઈ ગયું, છુંદાઈ ગયું. હવે મને સમજાયું છે કે,
(અનુષ્ટુપ)

આવે કાલતણો ભાર એવો સખ્ત અસહ્ય કે
આશાવન્તનું સામર્થ્ય ટકે એક જ સત્ત્વથી. ૯૩

પણ એ સામર્થ્ય ભાંગી ગયા પછી એ સત્ત્વનું ભાન થયું તે શા કામનું ?

દુર્ગેશ : બા સાહેબ ! પ્રશ્ન પૂછું તે માટે ક્ષમા કરશો. એ સત્ત્વ તે કયું ?
અમૃતદેવી : ઈશ્વરશ્રધ્ધા.
કમલા : ઈશ્વરશ્રધ્ધાની આપનામાં શી ન્યૂનતા છે ?
અમૃતદેવી : કમલા ! તને આ મંદવાડ વખતનો જ મારો પરિચય છે. પણ..હા ! મનુષ્યોની સ્મૃતિઓ પર થોડે થોડે અન્તરે પ્રલય ફરી વળતો હોય તો કેવું ?
જગદીપ : માનવસ્મ્રુતિઓમાં ડુબાડી દેવા કરતાં તરતું રાખવા જેવું ઘણું વધારે હોય છે.
અમૃતદેવી : એકંદર સરવાળે તેમ હશે, પરન્તુ પર્વતરાયનું મૃત્યુ થયું તે દુર્ભાગ્ય-દિવસના મારા સંકલ્પોની સ્મૃતિ તરતી રહી ન હોત તો મારા અન્ત સમયની વેદના કેટલી ઓછી થાત !
જગદીપ : મેં એ સંકલ્પોમાં સામેલ થઈ તારી અડધી જવાબદારી મારે માથે લીધી છે.
અમૃતદેવી : મારા અધર્મ્ય સંકલ્પોમાં તને સામેલ કરવાથી મારી જવાબદારી અડધી થયેલી લાગતી નથી, પણ બેવડી થયેલી લાગે છે.
અંક સાતમો
૧૪૭