આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
જગદીપ : | મા ! તું તારા મનને નિરાશાથી કેમ ઘેરાવા દે છે ? તારા આશાવન્તપણામાં આખા યુગને પ્રોત્સાહિત કરવાનું સામર્થ્ય હતું તે ક્યાં ગયું ? |
અમૃતદેવી : | કચડાઈ ગયું, છુંદાઈ ગયું. હવે મને સમજાયું છે કે,
આવે કાલતણો ભાર એવો સખ્ત અસહ્ય કે પણ એ સામર્થ્ય ભાંગી ગયા પછી એ સત્ત્વનું ભાન થયું તે શા કામનું ? |
દુર્ગેશ : | બા સાહેબ ! પ્રશ્ન પૂછું તે માટે ક્ષમા કરશો. એ સત્ત્વ તે કયું ? |
અમૃતદેવી : | ઈશ્વરશ્રધ્ધા. |
કમલા : | ઈશ્વરશ્રધ્ધાની આપનામાં શી ન્યૂનતા છે ? |
અમૃતદેવી : | કમલા ! તને આ મંદવાડ વખતનો જ મારો પરિચય છે. પણ..હા ! મનુષ્યોની સ્મૃતિઓ પર થોડે થોડે અન્તરે પ્રલય ફરી વળતો હોય તો કેવું ? |
જગદીપ : | માનવસ્મ્રુતિઓમાં ડુબાડી દેવા કરતાં તરતું રાખવા જેવું ઘણું વધારે હોય છે. |
અમૃતદેવી : | એકંદર સરવાળે તેમ હશે, પરન્તુ પર્વતરાયનું મૃત્યુ થયું તે દુર્ભાગ્ય-દિવસના મારા સંકલ્પોની સ્મૃતિ તરતી રહી ન હોત તો મારા અન્ત સમયની વેદના કેટલી ઓછી થાત ! |
જગદીપ : | મેં એ સંકલ્પોમાં સામેલ થઈ તારી અડધી જવાબદારી મારે માથે લીધી છે. |
અમૃતદેવી : | મારા અધર્મ્ય સંકલ્પોમાં તને સામેલ કરવાથી મારી જવાબદારી અડધી થયેલી લાગતી નથી, પણ બેવડી થયેલી લાગે છે. |
અંક સાતમો
૧૪૭