પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૬૮

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પ્રવેશ ૫ મો

સ્થળ : પ્રભાપુંજ મહેલમાં રાણીના આવાસમાં બેઠકનો ખંડ

[આરામાસન ઉપર અઢેલીને બેઠેલી રાણી લીલાવતી અને તેની પાસે ઊભેલી મંજરી તથા બીજી દાસી પ્રવેશ કરે છે. તે પછી પુરોહિત અને શીતલસિંહ પ્રવેશ કરે છે, અને આઘેથી નમન કરે છે.]

પુરોહિત : રાણી સાહેબ ! આપે કૃપાવાન્ત થઈ અનુજ્ઞા આપી તેથી શીતલસિંહને આપની સમક્ષ લાવ્યો છું.
શીતલસિંહ : (લીલાવતીની વધારે પાસે આવી નમન કરીને ) હું મહારાજનો અને આપનો હમેંશા વફાદાર સામંત છું.
લીલાવતી : તમારી વફાદારી મારા જાણવામાં છે. તમારે જે કાંઈ નિવેદન કરવું હોય તે જલદી કહી દો. મારી પ્રકૃતિ ઘણી અસ્વસ્થ છે. માત્ર ભગવન્તના આગ્રહથી આ મુલાકાત મેં કબૂલ કરી છે.
શીતલસિંહ : રાણીસાહેબ ! બહુ જરૂરની વાત કહેવાની છે, માટે જ ન છૂટકે હું આપને શ્રમ આપવા આવ્યો છું. હું જાણું છું કે આપનું શરીર બેચેન છે.
લીલાવતી : મારું શરીર બેચેન છે ને મન પણ બેચેન છે. માટે જ કહું છું કે પ્રસ્તાવનું લંબાણ ન કરતાં વક્તવ્ય હોય તેનો ઉદ્‌ગાર કરી નાંખો.
શીતલસિંહ : રાજના સામંત તરીકે મારી ફરજ છે...
લીલાવતી : તમારી ફરજો તો ઘણી છે, પણ તેનો હિસાબ અત્યારે ક્યાં લેવા બેસીએ?
શીતલસિંહ : હું એમ કહેવા જતો હતો કે જગદીપ ગાદીએ બેસે એમ કદી બનવું ન જોઈએ.
લીલાવતી : શા માટે? તમારા પુત્ર કરતાં તો તે ગાદી માટે લાખ ગણો વધારે લાયક છે.
અંક સાતમો
૧૬૧