લીલાવતી : | અને, હું એમને આશીર્વાદ દેવા ઉત્કંઠિત છું.
[જગદીપ, વીણાવતી અને દાસી પ્રવેશ કરે છે. જગદીપ અને વીણાવતી બન્ને પાસે આવી લીલાવતીને પગે પડે છે. લીલાવતી તેમને ઉઠાડે છે.] જગદીપદેવ-નહિ, હજી જગદીપ ! તે દિવસે તેં મને તારી માતા બનાવી છે, તેથી માતા તરીકે આશીર્વાદ દઉં છું કે વીણાવતીને અને ગુર્જરભૂમિને સુખી કરી તું સુખી થજે. મારે દત્તક લેવો હોત તો તને જ લેત, પણ તારા પિતાના પુત્ર તરીકે ગાદીએ આવવા તું હકદાર છે. વીણાવતી ! આજ સુધી તારા સુખ માટે મેં કશી પ્રવૃત્તિ કરી નથી, પણ માતાની આશિષ જો કલ્યાણ કરતી હોય તો હું આશિષ દઉં છું કે તું સૌભાગ્ય પામી ઘણું ઘણું સુખ જોજે. (અટકીને) મારાથી બહુ બોલાશે નહિ એમ મને લાગે છે, પણ એક વચન છેવટ કહું છું કે ગુર્જરરાજની રાણી થઈ તું તારા પતિને નિરંતર એ ઉપદેશ કરતી રહેજે કે પ્રજાના સંસારમાં એવી નીતિ પ્રવર્તાવો કે લગ્નવ્યવહારમાં સ્ત્રીજાતિનું હિત જોતાં લોકો શીખે, અને કોઈ સ્ત્રી લીલાવતી જેવી હતભાગ્ય ન થાય. (અટકીને) મારી છાતીમાં કેમ ગભરામણ થાય છે ? મને જરા પાણી પાઓ. (દાસી પાણી ધરે છે. તે પીએ છે) મારાં આ વચનથી દેશમાં એક દુઃખી સ્ત્રીનું દુઃખ મટશે તો મારા પતિની પ્રજામાં એટલું સુખ વધશે અને ઈશ્વરના ધામમાં મને નિવૃત્તિ થશે. પણ, અલોકમાં તો.... [બેભાન થઈ જાય છે.] |
કલ્યાણકામ : | દાસી ! તમે અને બીજા સેવકો રાણીસાહેબને લઈ જઈને પથારીમાં સુવાડો. (બીજાંઓને) આપણ સર્વ અહીંથી ચાલો.
[લીલાવતી અને દાસી સિવાય સહુ જાય છે, અને પડદો પડે છે.] |