પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૦૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૫
સોન કંસારી



રૂડી રામાપોળ પ્રીતે પોંખાણાં નહિ !
સ્વારીનો તંબોલ લખિયો પણ લાધ્યો નહિ,
ધ્રૂસકે વાગે ઢોલ (મારૂં) પંડ પોંખાણું નહિ;
તેની હામું હૈયામાંહ્ય, રહી ગઈ ઘટ રાખાપતિ.”

આગળ ચાલતાં મહાદેવનું મંદિર આવ્યું. ત્યાં બળતો ઘીનો દીવો જોઈને પણ એણે એવા જ પ્રકારનો વિલાપ કર્યો કે, "હાય ! અમે બન્ને જણ આ દીવાને સજોડે પગે લાગવા આવી શક્યાં નહિ, એજ દુઃખ મારાં હૈયાને સાલે છે.”

પછી તે સ્વામીના શબ આગળ ગઈ અને તેના પીઠીવાળા સુંદર શરીરને ચિતા ઉપર સુવાડી, પોતે પણ એમાં જીવતી બળવા તૈયાર થઈ. અત્યાર સુધી બધાં એને કંસારાની પુત્રી સમજતાં હતાં એટલે એને રજપૂતની સાથે સતી થવાનો નિષેધ કર્યો; એથી એણે ગુસ્સે થઈને પોતાનો પરિચય આપતાં કહ્યું -

“ઠાકોર મા કરો ઠેકડી, અમે વાઘેલા વિયાં;*[૧]
લખત અમારાં લઈ ગયાં, અમે કરમે કંસારી થિયાં.
દૂદનશી વાઘેલાની દીકરી, અમે દૂદનશી દીઠેલ નહિ;
ભોળો મા થાજે ભાણ, અમે કરમે કંસારાં થિયાં.
ઉજડ હોજો અવાસ, ચારે છેલાવડ તણા;
સતીઓ કેરો શાપ, વાસો કોઈ વસશે નહિ."

એ પ્રમાણે શાપ દઈ તે ચિતા પર ચઢી અને જોતજોતામાં તેનો દેહ પતિના શબની સાથેજ પંચમહાભૂતમાં મળી ગયો.

એ નગરના ધાર્મિક રાજાએ આ પવિત્ર સતીનું નામ રાખવાને તે સતી થઈ ત્યાં આગળ દહેરાં અને તળાવ બંધાવ્યાં. આજે પણ તે દહેરાં અને તળાવ પ્રાચીન ઘુમલીના સ્થળની ઉત્તરે બરડાના વેણુ શિખરની પાસે 'કંસારીનાં દહેરાં' અને 'કંસારી તળાવ’ને નામે પ્રખ્યાત છે.*[૨]


  1. * સંતાન.
  2. * રા. રા. જગજીવન કાલિદાસ પાઠકે સં. ૧૯૭૦ ના ગુજરાતીના દીવાળીના અંકમાં લખેલી એક ઐતિહાસિક વાર્તા ઉપરથી સારરૂપે આ ચરિત્ર લખવામાં આવ્યું છે. ઘણી જગ્યાએ એમનાજ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્થળે એ સ્નેહી ભાઈનો ખરા અંતઃકરણપૂર્વક આભાર માનવામાં આવે છે.— પ્રયોજક