એક જમીનદાર રાજા હતો. તે ગૌરાંગદેવનો પરમ ભક્ત હતો. તેણે તથા મુકુંદ સંજય નામના એક ધનવાન બ્રાહ્મણે ગૌરાંગ પ્રભુના લગ્નનું બધું ખર્ચ પોતાને માથે લીધું હતું, એટલે પૂર્ણ ઠાઠ સહિત શ્રીગૌરાંગદેવનું લગ્ન વિષ્ણુપ્રિયા સાથે થયું. આખા નદિયા નગરમાં એ દિવસે આનંદ વ્યાપી ગયો. શચિદેવીની તો એક માટી અભિલાષા પાર પડી, એટલે તેમના હર્ષનો પાર ન રહ્યો.
વિવાહના થોડા દિવસ પછી વિષ્ણુપ્રિયા સાસરે ગયાં. દેવી વિષ્ણુપ્રિયાના ગુણોની જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી થોડી હતી. એક પતિપરાયણ વિદુષી અને આજ્ઞાકારિણી સ્ત્રીમાં જેટલા ગુણ હોવા જોઈએ તેટલા બધા એમનામાં હતા. એ ગુણોથી એમણે સાસુને જ નહિ, પરંતુ આડોશીપાડેશીની સ્ત્રીઓને પણ મુગ્ધ કરી દીધી. ઘરનું બધું કામકાજ એમણે પોતાને માથે ઉપાડી લીધું. સાસુને એ માતા કરતાં પણ અધિક પ્રિય ગણીને પુષ્કળ કાળજીથી તેની સેવા કરતાં હતાં.
લગ્ન થયા પછી થોડા દિવસ બાદ સનાતન મિશ્ર શચિદેવીને ઘેર જઈને પુત્રી વિષ્ણુપ્રિયા તથા જમાઈને પોતાને ઘેર તેડી ગયા. પુત્રવધૂને વિદાય કરતાં શચિદેવીનાં નેત્રમાં આંસુ આવી ગયાં અને તેમણે એને ખેાળામાં બેસાડીને કહ્યું: “મા ! તું મારા ઘરમાં અંધારું કરીને ચાલી જાય છે ! જલદી પાછી આવજે, તારા વગર મારાથી રહેવાશે નહિ.”
શ્રી ગૌરાંગ પ્રભુ થોડાક દિવસ સાસરે રહીને ઘેર પાછા આવ્યા. વિષ્ણુપ્રિયા પિયેરજ રહ્યાં. શચિદેવીને એમના પ્રત્યે એટલો બધો પ્રેમ હતો કે દરરોજ ગંગાસ્ન કરવા જતી વખતે વેવાઈને ઘેર જઈ પુત્રવધૂ વિષ્ણુપ્રિયાને મળી આવતાં. થોડા દિવસ પછી શચિદેવીના આગ્રહથી વિષ્ણુપ્રિયાનું આણું વળાવવામાં આવ્યું. આ વખતે એમની વયે તેર વર્ષની હતી. નવયૌવનનાં અંકુર પ્રત્યેક અંગમાં જણાઈ આવતાં હતાં. તેમના રૂપલાવણ્યનો પાર નહોતો. એ વયમાં તેમણે સાસુ અને પતિની સેવા કરવામાં જરા પણ કચાશ રાખી ન હતી. સાસુ ગંગાસ્નાન કરવા જાય ત્યારે છાયાની પેઠે એ એમની સાથે સાથે જતાં અને ગામમાં પિયેર હોવા છતાં સાસુની રજા વગર બારોબાર પિયેર પણ જતાં નહિ.
શ્રીગૌરાંગ પ્રભુનો ઘણેખરો સમય વિઘાર્થીઓને ભણાવવામાં જતો હતો. એક દિવસ વિષ્ણુપ્રિયા પતિને જમાડતાં હતાં તે