સારૂ મહારરાવને ઈદોરનું રાજ્ય જાગીરમાં આવ્યું, ત્યારથીજ ઈદોર હોલ્કરની રાજધાની બન્યું.
જે બાળક એક સમયે બકરાંમેઢાં ચરાવતો હતો અને જેઠનો તાપ તથા શ્રાવણભાદરવાનો મુશળધાર વરસાદ પોતાના માથા ઉપર ઝીલતો હતો, તેજ બાળકના મસ્તક ઉપર આજ રાજછત્ર અને ચામર ઢોળવા લાગ્યાં. ઈશ્વર ! તારો મહિમા અપરંપાર છે ! તું ચાહે તો પરમાણુનો પર્વત અને પર્વતને પરમાણુ બનાવી શકે છે.
ઘણા ગરીબ અને સામાન્ય કુટુંબમાં જન્મ લેવા છતાં પણ, પોતાના બાહુબળને પ્રતાપે મલ્હારરાવે ભારતવર્ષના મુખ્ય વીરપુરુષોમાં પોતાની ગણતરી કરાવીને, પૂર્ણ રાજ્યસુખ ભોગવીને, ૭૬ વર્ષની ઉંમરમાં આ સંસાર છોડીને પરલોક–યાત્રા કરી. મલ્હારરાવની વાર્ષિક આવક ૭૬ લાખ રૂપિયાની હતી તથા ૭૬ કરોડ રૂપિયા એમના મૃત્યુ સમયે ખજાનામાં રોકડા હતા.
મલ્હારરાવની સ્ત્રીનું નામ ગૌતમાબાઈ હતું. એ ગૌતમાબાઈને પેટે મલ્હારરાવના પુત્ર ખંડેરાવનો જન્મ (ઈ. સ. ૧૭૨૫ માં) થયો હતો.
પાંચ વર્ષની ઉંમરથી જ ખંડેરાવનો સ્વભાવ ઘણો ચીડિયો અને હઠીલો જણાયો હતો. રમતગમત સિવાય બીજી કોઈ સારી વાતમાં એનું ચિત્ત ચોટતું નહોતું. મલ્હારરાવે એને ભણાવવાના ઘણાએ ઉપાય કર્યા, પણ કાંઈ વળ્યું નહિ. મોટી વયના થયા પછી પણ કુમાર ખંડેરાવની રુચિ નાચતમાશા તથા દુર્વ્યસન તરફ વધારે જોવામાં આવતી. આથી એના પિતાનો જીવ ઘણો ચિંતાતુર રહેતો. એને સુધારવાના અનેક ઉપાય નિષ્ફળ નીવડ્યા, ત્યારે મલ્હારરાવે એવો વિચાર કર્યો કે, એને કોઈ સુશીલ કન્યા સાથે પરણાવી દેવામાં આવે, તો સંભવ છે કે એ સુધરશે. એ વિચારથી એ કન્યાની શોધ કરવા લાગ્યા.
માળવા અને ગુજરાત પ્રાંતમાં બળવા સમાવીને, મલ્હારરાવ વિજયી સૈન્ય સાથે પોતાના સ્વામી પેશ્વાને મળવા જતા હતા, એવામાં માર્ગમાં તેમને સમાચાર મળ્યા કે, ઔરંગાબાદ જિ૯લાના બીડ તાલુકામાં ચોંટ નામના ગામમાં માનકોજી સિંદે નામના ગૃહસ્થને ત્યાં અહલ્યા નામની એક સુયોગ્ય કન્યા છે.