પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૪૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૭
અહલ્યાબાઈ



બાબત લક્ષમાં લઈને આ૫ આ વિપત્તિના પ્રસંગમાં મને સહાયતા આપવાનું ચૂકશો નહિ.”

અહલ્યાબાઇની દલીલની સાર્થકતા સમજીને તથા મલ્હારરાવનો ઉપકાર સંભારીને બધા અહલ્યાબાઇની મદદ માટે સૈન્ય લઈને ઈંદોર તરફ ચાલ્યા.

હવે અહલ્યાબાઈને પોતાના સૈન્યને માટે એક કાબેલ સેનાપતિની જરૂર હતી. તુકોજી હોલ્કર નામનો એક સરદાર, મલ્હારરાવનો પાસેનો સગો હતો. અહલ્યાબાઈએ તેને બોલાવીને શાસ્ત્રવિધિ પ્રમાણે પોતાના સૈન્યનો સેનાપતિ અને મુખ્ય અમલદાર નીમ્યો. તુકોજી પણ એ દિવસથી અહલ્યાબાઈને “મા” કહીને સંબોધવા લાગ્યો.

રાજ્યના રક્ષણને માટે જેટલી તૈયારી અહલ્યાબાઈએ કરી હતી, તે જોતાં બધાને દૃઢ વિશ્વાસ હતો કે, જય એનોજ થશે; પણ કોમળ હૃદયનાં અહલ્યાબાઈ મૂળથીજ નકામું લોહી વરસાવવાની વિરુદ્ધ હતાં. રક્તપાત કર્યા વગર, રાજ્યનું રક્ષણ થાય તો ઘણું સારૂં, એવી તેમની અંતરંગ ઇચ્છા હતી. એ જાણતાં હતાં કે, પેશ્વા માધવરાવ ધર્મપરાયણ યુવક છે. તેમની મરજીથી અને તેમની મંજૂરીથી રઘુનાથરાવ ચડી આવતો હોય, એ બનવાજોગ નથી. એ બધો વિચાર કરીને એણે પેશ્વાને એક પત્ર લખ્યો.

સાથે રઘુનાથરાવને પણ પત્ર લખ્યો કે, “આપ મારૂં રાજ્ય છીનવી લેવા આવો છો. હું પણ રાજ્યનું રક્ષણ કરવા માટે યુદ્ધની તૈયારી કરૂં છું. આપનો વંશ મૂળથીજ અમારે માટે પૂજ્ય છે, પણ આ૫ હથિયાર ધારણ કરીને મારા રાજ્યમાં આવશો, તો હથિયારથી જ આપનો સત્કાર કરવામાં આવશે, છતાં પણ એક વાતનું આપને સ્મરણ કરાવવા માગું છું. આપ વીર પુરુષ છો, હું અબળા છું. યુદ્ધમાં હારી જઈશ, તો પણ મારૂં અપમાન થવાનું નથી, પરંતુ આપ જો જીતશો તો એ ગૌરવની વાત નથી અને હારશો તો શરમ અને અપમાન જરૂર ભોગવવા પડશે. એવી અવસ્થામાં આપને યુદ્ધ કરવાથી શું લાભ છે તે હું જાણતી નથી. ટૂંકામાં એજ કે પૂરો વિચાર કરીને આગળ પગલું ભરજો.”

કામ પડ્યે પોતાના બરોબરિયા અથવા પોતાનાથી વધારે