આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કૃષ્ણ


પાંડવો કુન્તીની પાસે ગયા. કુન્તીએ એને આશીર્વાદ આપી પાંચે પાંડવોની પત્ની થવા આજ્ઞા કરી. કૃષ્ણે અર્જુનને તરત જ ઓળખ્યો અને એની પાછળ એને ઘેર ગયા. એમણે તે દિવસથી દ્રૌપદીને પોતાની બ્હેન માની અને એમની મદદથી પાંડવોનું દ્રૌપદીની સાથે ઠાઠથી લગ્ન થયું.

પાંડવો જીવતા છે એમ ખબર પડતાં કૌરવોના પેટમાં ફાળ પડી, પણ એમણે બહારથી આનંદ દર્શાવ્યો અને યુધિષ્ઠિરને અર્ધું રાજ્ય સોપ્યું. પાંડવો ઈન્દ્રપ્રસ્થ નામે એક શહેર વસાવી રાજ્ય કરવા લાગ્યા. એમનાં નીતિ અને પરાક્રમથી થોડા સમયમાં એ રાજ્ય સમૃદ્ધિ પામ્યું. આથી દુર્યોધનની ઈર્ષ્યા વધતી ગઈ. બીજી બાજુથી બળરામની બ્હેન સુભદ્રા[૧] સાથે અર્જુનનું લગ્ન થવાથી કૃષ્ણનો એમની સાથેનો સંબંધ વધારે ગાઢ થયો.

૧૨૨
  1. અર્જુન ક્ષાત્ર રીતિ પ્રમાણે સુભદ્રાનું હરણ કરી પરણ્યો હતો; પણ એમાં બળદેવનો વિરોધ અને કૃષ્ણની સંમતિ હતી. કૃષ્ણની સંમતિ હોવાથી બળરામે અર્જુનનું એ કૃત્ય સહન કરી લીધું; પણ સુભદ્રા પોતાની સગી બેન હોવા છતાં એમણે અર્જુન જોડે વિશેષ સખ્ય કર્યું નહિ. એનો પક્ષપાત એના શિષ્ય દુર્યોધન પ્રતિ વિશેષ હતો. બીજી બાજુથી કૃષ્ણનો પુત્ર સામ્બ દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનું હરણ કરી પરણ્યો હતો; એટલે કૃષ્ણ અને દુર્યોધન એકબીજાના વેવાઈ હોવા છતાં એમની વચ્ચેનો સંબંધ મીઠો ન હતો. સ્ત્રીના નિમિત્તથી મહાભારતમાં કેટલાં વૈર પ્રગટ થયેલાં જણાય છે એ વિચારવા જેવું છે. કૃષ્ણ અને શિશુપાલ તથા એના મિત્રરાજાઓ વચ્ચેનું વૈર રુક્મિણી નિમિત્તે થયું; કૃષ્ણ અને શતધન્વા વચ્ચેનું વૈર સત્યભામા નિમિત્તે થયું; બળરામનું પાંડવો વિષે વૈમનસ્ય સુભદ્રાના હરણને લીધે ગણાય; દુર્યોધનનો કૃષ્ણ સાથે અણબનાવ લક્ષ્મણાના હરણને લીધે થયો; અને દ્રૌપદી એ મહાભારતના યુદ્ધમાં મોટામાં મોટું નિમિત્તકારણ ગણાય.