રામ-કૃષ્ણ
પોતાની સર્વાંગી ઉન્નતિ કરવાની આકાંક્ષા, એ સર્વને માટે સંપૂર્ણ પુરુષાર્થ કરવાની વૃત્તિ એ એ સ્થિતિનો સાધન માર્ગ છે.
ઉપાસના
સેંકડો વર્ષ થયાં આપણે રામ અને કૃષ્ણની અભેદપણે ઉપાસના કરતા આવ્યા છીયે. રામ અને કૃષ્ણ બન્ને આપણને એટલા બધા એકરૂપ લાગે છે કે બે નામ જોડી આપણે "રામ-કૃષ્ણ"નો એક જપ-મંત્ર બનાવ્યો છે. જે માણસ પરમાત્માને પોતાનામાં પૂર્ણ પણે પ્રગટાવવા ઇચ્છશે તે તો કદાચ રામ-કૃષ્ણને સંયુક્ત પૂર્ણતાએ પહોંચવા પ્રયત્ન કરશે. સુખના દિવસને એ વ્રતરૂપ ગણશે અને દુઃખમાં ઉત્સવ માનશે. એના ગામ્ભીર્યમાં પ્રેમ, અને પ્રેમમાં ગાંભીર્ય દેખાશે. એ પોતાની ઉપર અસત્ય, અન્યાય કે અપ્રમાણિકતાનો વહેમ સરખો યે સહન નહિ કરે, પણ બીજામાં એ સ્પષ્ટ જણાય તોપણ એનામાં જો એક પ્રેમ હશે તો એટલાથી સંતોષ માની એની બાંહેધારી કરી એને ચડાવવા પ્રયત્ન કરશે. એની રગેરગમાં મહારાજપદ હોવા છતાં એ મુરબ્બીપણું નહિ દેખાડે, કોઇને પોતાથી ઉતરતો નહિ કલ્પી શકે.