આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામ


સવારના પહોરમાં અભિષેક માટે વસિષ્ઠે તૈયારી કરવા માંડી. ઘણો વખત થઇ ગયા છતાં દશરથ તૈયાર થઇ આવ્યા નહિ, તેથી તેણે એક સૂતને દશરથ રાજાને જગાડવા મોકલ્યો. સૂતે દશરથ અને કૈકેયીના સૂતકીના જેવી દશા જોઇ, પણ કશું સમજી શક્યો નહિ. રાજા પણ શોક અને શરમના ઉભરાને લીધે કશું બોલી શકતો ન હતો. અન્તે કેટલીક વારે તેણે રામને તેડી લાવવા આજ્ઞા કરી. રામ તરત જ આવી રાજાની સામે ઉભા રહ્યા.પણ દશરથની જીભ જ ઉપડતી ન હતી. એમની આંખમાંથી આંસુ ચાલ્યાં જતાં હતાં. રામ આ જોઇ ગભરાઇ ગયા અને કૈકેયીને કારણ પૂછવા લાગ્યા. દશરથ બોલે નહિ અને લાજ રાખી કૈકેયી મૂંગી રહે તો પોતાનો સ્વાર્થ બગડે, એ બીકથી કૈકેયીએ જ રાજા વતી બોલવાનું શરૂ કર્યું. તેણે કહ્યું :"રામ, તારી બીકથી રાજા કંઇ બોલી શકતા નથી. પોતાના પ્રિય પુત્રને કડવી આજ્ઞા સંભળાવતાં એમની જીભ ઉપડતી નથી, માટે તે વાત હું તને કહું છું તે સાંભળ. પૂર્વે રાજાએ મને બે વરદાન આપવા વચન આપ્યું હતું. તે મેં આજે માગ્યાં અને એમણે મને આપ્યાં. પણ હવે પ્રાકૃત

૧૪