આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામ

બનાવ પછી એ આત્મહત્યા કરવાનો વિચાર કરવા લાગી. આથી મારુતિને લાગ્યું કે સીતાના ચરણમાં પડવાનો આથી વધારે અનુકૂળ પ્રસંગ ન હોઇ શકે. પણ ઓચિંતા સામા જવાથી સીતા ગભરાઇ જશે એમ ધારી એણે પહેલાં ઝાડ ઉપરથી જ રામનું સંક્ષિપ્ત ચરિત્ર ગાવા માંડ્યું. અવાજ સાંભળી સીતા ચકિત થઇ આમતેમ જોવા લાગી. પણ કોઈ ન દેખાયાથી, બીકની મારી 'હે રામ' કરતી જમીન પર પડી ગઈ. એટલામાં હનુમાન ઝાડ પરથી ઉતરી કરુણામય મુદ્રાથી વિનયપૂર્વક નમસ્કાર કરી સીતા આગળ ઉભા રહ્યા, અને રામ તથા લક્ષ્મણના અનુચર તરીકે ઓળખાણ આપી સમાચાર કહ્યા. અનેક નિશાનીઓ મળતી આવવાથી તથા રામની મુદ્રા જોવાથી જ્યારે સીતાની ખાત્રી થઇ કે હનુમાન કોઇ માયાવી રાક્ષસ નહિ પણ રામના દૂત જ છે, ત્યારે એના આનંદનો પાર ન રહ્યો. સીતા અને હનુમાન વચ્ચે પેટ ભરીને વાતો થઈ. સીતાને છોડાવવા રામ કેવા પ્રકારનો પ્રયત્ન કરશે તે હનુમાને કહ્યું, અને જેમ બને તેમ ઓછો વિલંબ કરવા સીતાએ આજીજી કરી રામને સન્દેશો મોકલ્યો.

૪૮