આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રામ

શુદ્ધિ અને બુદ્ધિ. પોતે સંપાદન કરેલી વિદ્યાનો દુરુપયોગ કરે એટલા શુદ્ધ અંત:કરણવાળો શિષ્ય છે કે નહિ તે તપાસ કરવામાં ગુરુ અત્યંત કાળજી લેતા. એ દૃષ્ટિએ અધિકારી શિષ્ય ન મળે તો પોતાની વિદ્યા પોતાની સાથે જ મરી જાય એ બહેતર, પણ અશુદ્ધ હૃદયના માણસને જ્ઞાન ન જ આપવું એવો આગ્રહ મનાતો. વિદ્યા જગત કલ્યાણાર્થે છે, ઉચ્છેદાર્થે નહિ. ગુરુની ગફલતીને લીધે વિદ્યા કુશિષ્યને પ્રાપ્ત થવાથી જો લોકનું અહિત થાય તો તેનું પ્રાયશ્ચિત ગુરુને કરવું પડે. અધિકાર તપાસવામાં દૃષ્ટિ બુદ્ધિના વિકાસની છે. પણ એ માટે ગુરુને ઓછી ચિંતા રહેતી. બુદ્ધિની સ્થૂળતા વિશેષ મહેનતથી ટાળી શકાય અથવા બુદ્ધિ જેટલી પહોંચી શકે તેટલી જ વિદ્યા શીખવી શકાય. શુદ્ધ ચિત્તની સાથે સુક્ષ્મ બુદ્ધિનો સંયોગ એ સોનું ને સુગંધ મળ્યા જેવું ગુરુને લાગે.

તપનો વિધિ બતાવવામાં પણ એ રીતે ગુરુ અધિકાર તપાસે એ યોગ્ય છે. પણ કોઇ પોતે જ પોતાનો ગુરુ બની શકે એમ કંઈ નથી. અને અકાદ દુષ્ટ આશય સિદ્ધ કરવા પોતાની મેળે જ કોઇ સાધના કરતો હોય, તો એની સાધના રાજાએ ચાલવા દેવી કે કેમ એ પ્રશ્ન ઉભો થાય.

આ કથામાં શમ્બુકના તપનો આશય દુષ્ટ હતો કે કેમ તે જણાવ્યું નથી, અને એનો અનાધિકાર કેવળ એની જાતિ પર જ ઠેરવ્યો છે, એટલે આધુનિક દૃષ્ટિએ આ કૃત્ય આપણને રુચિકર લાગતું નથી.