આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કદરૂપો પ્રેમ : ૧૧૯
 

પાલકોએ એમની તપાસ કરી નહિ એટલે ધીમે ધીમે સંતાઈ રહેવાને બદલે ખુલ્લામાં આવી તેમણે ગીતનૃત્ય રસ્તામાં શરૂ કર્યાં.

ચાની હોટલ, પાનની દુકાન, માળીનાં હાટ અને શાકબજાર પાસે કે શેરીઓમાં ફરતાં ફરતાં અગર બેસીને એ બંને જણ ગીત ગાઈ, નૃત્યચાળા કરી લોકોની કુતૂહલવૃત્તિને ઉશ્કેરી પોતાનું ગુજરાન ચલાવતાં. કુદરતે બંનેને સરસ કંઠ આપ્યા હતા. એટલે નાટક સિનેમાનાં ગાયનો તથા જાણતી ગઝલ કવાલીઓ ગાઈ ગામની સામાન્ય જનતાને તેઓ રીઝવી શકતાં હતાં – જોકે લાંબા સમય સુધી એક જ ગામમાં બંને ટંકનો ખોરાક દરરોજ તેમને મળે એમ ભાગ્યે જ બનતું.

પ્રસંગે લાગ મળતાં વસ્તુ ઉપાડી લેવાનું પણ તેઓ ચૂકતાં નહિ. ઓટલે પડેલ લોટો, મંદિર બહાર પડેલા જોડા, દેવળમાં નાખેલા પૈસા કે દુકાનદારની નજર બહાર રહી ગયેલી મીઠાઈ એમની ઝપટમાં વખત બેવખત આવી જતાં. પરંતુ મોટી ચોરીની તેમને જરૂર પડતી નહિ.

ચંચળનું ગાયન કે નૃત્ય થતાં પૈસા ફેંકનાર રસિકો હસતા, આંખ મિચકારતા અને વીરાજીથી ન સમજાય એવી કશી મશ્કરી પણ કરતા. વીરાજીને કોણ જાણે કેમ એ ચાળા ગમતા નહિ; પરંતુ ચંચળ સામું હસતી, આડી આંખે જોતી અને મશ્કરી કરનારાઓને જવાબ આપી આખા ટોળાંને હસાવતી. ચંચળને ઓળખનારા ઘણાં માણસો મળતાં અને વીરાજીને એકલો જોનાર ચંચળની જ ખબર પૂછતા. એ પણ વીરાજીને ગમતું નહિ. વીરાજી ઘણી વાર કારણ વગર મારામારી કરી બેસતો અને કૅડમાં એક ચોરેલો છરો ભેરવી રાખતો.

એક વાર સારા શેઠ જેવા દેખાતા એક માણસે ચંચળને બોલાવી પોતાની સાથે ગાડીમાં બેસવા આમંત્રણ આપ્યું.

‘વીરાજી આવે તો હું આવું.’ ચંચળે કહ્યું.

‘એ ભૂતને પણ લઈ લે; એને પણ પગાર આપીશું.’ શેઠ કહ્યું.

***