આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪ : રસબિન્દુ
 

મુનશીને મુંજાલ, ગોવર્ધનરામને બુદ્ધિધન...નહિ, નહિ; સાચા મુત્સદ્દીઓ ક્યાં નથી? ચર્ચિલ, ચેમ્બરલેન, બિસ્માર્ક, મેશિયાવેલી, ચાણક્ય...

પરંતુ આંટીઘૂંટી અને પેરવીઓની પરંપરા ! ઉસ્તાદીભરી ભુલભુલામણી રચવી અને તેમાં સહુની સાથે પોતે પણ ગોથાં મારવાં ! પરિણામ? પેલી કહેવતઃ ‘ભાંજઘડિયાનાં છોકરાં ભૂખે મરે !’

મુત્સદ્દીઓએ, ચાણક્યોએ જગતની સ્મૃતિમાં ભારે ઉચ્ચ સ્થાન મેળવ્યું લાગતું નથી ! એમની કીર્તિના સ્તંભ નીચામાં નીચા !

***

‘તો પછી રાજામહારાજા બનું તો ?’ સનાતને રાજમહત્તા તરફ જોયું. એમના કીર્તિસ્તંભે જીર્ણ બની ડગમગી કેમ ગયા હશે?

હવે પૃથ્વી ઉપર રાજાઓ કેટલા? બ્રિટનનો એક-જેને મારી માફક લગ્ન કરવાનો પણ અધિકાર નહિ.

ઈટલીનો બીજો ! મુસોલિની આગળ એનું નામ પણ યાદ આવતું નથી.

જાપાનનો – જવા દો એને. ગત પૂર્વજોની સાથે સંદેશા ચલાવતો ભૂવો !

પણ આપણું હિંદ? એ તો રાજાઓનો ભર્યો ભર્યો ભંડાર ! એક પાસ પૃથ્વીના રાજાઓ : ઊભા કરો; બીજી પાસ હિંદના | પૃથ્વીના પડ ઉપર વધારેમાં વધારે પંદર રાજાઓ; જ્યારે હિંદમાં પાંચસો ઉપરાંત રાજાઓની સંખ્યા !

પણ....પણ એ હિંદી રાજાઓ એટલે ? પોલિટિકલ ખાતાની પગચંપી કરતા પરાધીન પધડબંધો ! અને...

‘જવા દો ! મારે રાજા થવું જ નથી, હિંદના કે હિંદબહારના પૂતળાંના સંગ્રહસ્થાનમાં મારે ઉમેરો કરવો નથી.’ સનાતને કહ્યું.

* *"

‘તો પસંદગીમાં ઝડપ કર. વરદાન મળ્યું છે એટલે તારે મહત્તા તો સ્વીકારવી જ પડશે.’ આકાશવાણી થઈ.